પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાની ફરી ધરપકડ થઈ છે. પોલીસ સાથે ગેરવર્તન મુદ્દે સરથાણા પોલીસે લાજપોર જેલમાંથી અલ્પેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ બીજી વાર ધરપકડ બાદ અલ્પેશે નિવેદન પર સહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે સરથાણા પોલીસ સ્ટેશનમાં જ અલ્પેશે પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જેને લઈને બીજીવાર અલ્પેશની ધરપકડ કરાઈ છે. તમને જણાવીએ કે ગઇ કાલે સુરતમાં અલ્પેશ કથીરીયાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અલ્પેશ કથીરીયાને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. જેથી અલ્પેશને લાજપોરની જેલમાં મોકલવામાં આવ્યો હતો.
આ મામલે આગામી 22 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે કોર્ટમાંથી બહાર આવતા સમયે અલ્પશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતુ કે જીવતા રહીશું તો ફરી મળીશું. મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કર્યા હતા. તેમ છતાં તે હાજર નહોતો થયો.
જોકે અલ્પેશ કથીરિયા કોર્ટ સમક્ષ હાજર ન થતાં આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી એક વખત ધરપકડ કરી હતી. મિત્ર આશિષ વધાસિયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમબ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે અલ્પેશ કથીરિયાએ ક્રાઈમ બ્રાન્ચમાં જઈને દાદાગીરી કરી હતી અને રાજગદ્રોહના કેસમાં કોર્ટે જામીન પણ રદ્દ કર્યા હતા તે બાદ અલ્પેશ કથીરિયાએ હાઈકોર્ટમાં કાયમી જામીન માટે અરજી દાખલ કરી હતી.