ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ હવે ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોની 5 વિધાનસભા બેઠકો સહિત એક લોકસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત
ગુજરાતની સાથે યુપીમાં યોગી અને રાજસ્થાનમાં ગેહલોતની થશે પરીક્ષા
ચૂંટણી પંચે પાંચ રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી
ઓડિશા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ક્ષેત્રોની પેટાચૂંટણી
પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરે મતદાન અને 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ હવે ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોની 5 વિધાનસભા બેઠકો સહિત એક લોકસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતની સાથે યુપીમાં યોગી અને રાજસ્થાનમાં ગેહલોતની પરીક્ષા થશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ઓડિશા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ક્ષેત્રોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ પાંચ રાજ્યોની 5 વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક માટે 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આયોગે કહ્યું કે, આ સંસદીય અને વિધાનસભા ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે વહેલી તકે ચૂંટણી યોજવી જરૂરી છે.
આ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં રામપુર, ઓડિશામાં પદમપુર, બિહારમાં કુર્હાની અને રાજસ્થાનમાં સરદારશહેર અને છત્તીસગઢમાં ભાનુપ્રતાપપુર (ST અનામત બેઠક) વિધાનસભા બેઠકો અને યુપીમાં મૈનપુરી લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ બેઠકો માટે નોટિફિકેશન 10 નવેમ્બરે બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 17 નવેમ્બર રહેશે. જ્યારે ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ 18 નવેમ્બર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર રહેશે. પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
મહત્વનું છે કે, ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર યોજાનારી પેટાચૂંટણીમાં EVM અને VVPAT નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. EVM અને VVPAT પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને આ મશીનોની મદદથી મતદાનનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. સાથે જ મતદાતાઓ માટે વોટર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહેશે. જેના આધારે મતદારો પોતાનો મત આપી શકશે. આ સિવાય તેઓ પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટો સાથેની પાસબુક, મનરેગા જોબ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ફોટો સાથેનું સર્વિસ આઈડી કાર્ડ, ફોટો સાથેનું પેન્શન કાર્ડ, યુડીઆઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.
આ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોએ પ્રચાર દરમિયાન ત્રણ વખત ન્યૂઝ પેપરો અને ટેલિવિઝન ચેનલો દ્વારા પોતાના વિશેની માહિતી પ્રકાશિત કરવી જરૂરી છે. જો કોઈ રાજકીય પક્ષ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે, તો તેણે ત્રણ વખત અખબારો અને ટેલિવિઝન ચેનલો પર તેના ઉમેદવારોની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશેની માહિતી પણ પ્રકાશિત કરવી પડશે.
ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી
આવતા મહિને ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.