વડોદરાના MLA યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી નવરાત્રીમાં રાત્રે 2.30 વાગ્યા સુધી ગરબાને મંજૂરી આપવા માંગ ઉઠાવી છે.
ગરબાનો સમય વધારવા માટે કરાઇ રજૂઆત
વડોદરામાં MLA યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રીની કરી રજૂઆત
નવરાત્રીમાં રાત્રે 2.30 વાગ્યા સુધી મંજૂરી આપવા માંગ
નવલા નોરતાના આરંભને હવે ઘડીઑ ગણાઈ રહી છે. જેને લઇને ગરબા રાશિકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં ગરબાના સમયમાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આ મામલે વડોદરામાં MLA યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી આયોજકોની માંગ સંતોષવાની દિશામાં નિર્ણય કરવા જણાવ્યું છે.
આયોજકોએ મોટો ખર્ચ કરી આયોજન કર્યું છેઃ યોગેશ પટેલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન MLA યોગેશ પટેલે રજૂઆત કરી હતી કે નવરાત્રીમાં રાત્રે 2.30 વાગ્યા સુધી મંજૂરી આપવી જોઈએ. કારણ કે ગરબા આયોજકો દ્વારા મોટો ખર્ચ કરીને જબરદસ્ત આયોજનનો કરવામાં આવ્યા છે. ત્યારે તેઑને વળતર મળે તે માટે આયોજકોએ રાત્રે 2.30 વાગ્યા સુધી મંજૂરીની માંગ ઉઠાવી છે. જે લોકોની માંગને MLA યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પહોચાડી હતી. બીજી તરફ વિધર્મીઓને ગરબામાં પ્રવેશતા રોકવા માટે આયોજકો દ્વારા ખેલૈયાઓને તિલક કરવા સહીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અગાઉ લાઉડ સ્પીકર અને હોટલ ખુલ્લી રાખવા અપાઈ છે છૂટ
અગાઉ ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવાઈ છે. નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. જો કે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરી હતી. જેમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રાખી શકાશે. તેમ જણાવાયું હતું. જેથી ખેલૈયાઓ અને ખાણી પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ આ નિર્ણયને વધાવ્યો હતો.