મહેસાણાની ઊંઝા APMC ફરી આવી વિવાદમાં, APMCના સત્તાધીશો અને ભાજપના પીઢ નેતા આવ્યા આમને સામને
મહેસાણાની ઊંઝા APMC ફરી આવી વિવાદમાં
APMCના સત્તાધીશો અને ભાજપના પીઢ નેતા આમને સામને
પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે લગાવ્યા આક્ષેપ
એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ઉંઝા apmc ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. થોડા સમય અગાઉ કરોડોના સેસ કૌભાંડના આક્ષેપોને કારણે ઉંઝા apmc ચર્ચાના ચગડોળે ચઢ્યું હતું. તો હવે ઉંઝા apmc પર સિક્યુરિટી મા એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટર ના દીકરા ને કર્મચારી તરીકે 3 ઇંક્રીમેન્ટ અને ખોટી રીતે બઢતી અપાયા ના આક્ષેપો કરવામાં આવ્યા છે. નોંધનીય મુદ્દો એ છે કે, આક્ષેપો કરનાર અને જેની પર આક્ષેપો કરાયા છે બંને ભાજપના નેતા અને આગેવાનો છે. એટલે કે ઉંઝા ભાજપમાં જ જાણે જંગ છેડાયો છે.
સિક્યુરિટીના ટેન્ડરમાં કૌભાંડનો આરોપ
ઊંઝા APMC થોડા સમય અગાઉ સેસ કૌભાંડના ચકડોળે ચડ્યું હતું. ત્યારે હવે સિક્યુરિટીના ટેન્ડરમાં કૌભાંડ અને ડિરેક્ટરના પુત્રને ત્રણ ત્રણ ઇંક્રીમેન્ટ અને બઢતીના આક્ષેપો થયા છે. આ આક્ષેપો બીજા કોઈ નહી પણ ઉંઝાના ભાજપના જ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલ ઉર્ફે નારાયણ કાકાએ લેખિતમાં કર્યા છે. નારાયણ કાકાએ આ મુદ્દે લેખિતમાં મુખ્ય પ્રધાન અને રાજ્યના સહકાર મંત્રીને લેખિતમાં રૂબરૂ જઇને રજુઆત કરી છે કે, ઉંઝા apmcમાં સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં વર્ષ 2020-21માં એક કરોડ બે લાખ ચૂકવવામાં આવ્યા હતા. તો વર્ષ 2021-22 માં ડબલ એટલે કે રૂપિયાને 2 કરોડ 4 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે apmcના ગેટ હતા એટલા જ છે. એટલે કે ખોટા ઈસમો ઊભા કરી ખોટી હાજરી પુરાવામાં આવી છે. જેથી 7 વર્ષના સિક્યુરિટીના ટેન્ડરો તપાસવા પણ માંગ કરી છે. સિક્યુરિટી કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ઓફિસર પર કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.
અમૃતભાઈ પટેલને ડિરેક્ટર પદેથી દૂર કરવા માગ
તો બીજી તરફ ઊંઝા apmcના ખેડૂત વિભાગમાંથી ચુંટાયેલા અમૃતભાઈ મુલચંદભાઈ પટેલના દીકરા દિનેશ પટેલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. જેનો તા.12.08.2021 ના રોજ ક્લાર્ક માંથી ઓફિસર તરીકે બઢતી આપવાનો ઠરાવ કરાયો હતો. ઉપરાંત ત્રણ ત્રણ ઇંક્રીમેન્ટ આપવાનો પણ ઠરાવ કરેલ છે. પરંતુ જ્યારે કોઈ ડિરેક્ટરનું પદ ચાલુ હોય ત્યારે તેની સાથે લોહીનો સંબંધ ધરાવનારને આ પ્રકારનો લાભ આપી શકાતો નથી. તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટરે તેના દીકરાને નોકરી ઉપર રાખતા ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ કરાયા હતા. તેવી રીતે અમૃતભાઈ મૂળચંદ ભાઈ પટેલને પણ ડિરેક્ટર પદેથી દૂર કરવા તેમજ તેમના પુત્ર દિનેશ ને અપાયેલ ઇન્કરીમેન્ટ સહિત પદોન્નતિ ના તમામ લાભ પરત ખેંચવા નારાયણ પટેલે સીએમ ને લેખિત રજૂઆત કરી છે.
ઉપજાવેલા-ખોટા આક્ષેપો- ઊંઝા APMC ચેરમેન
નારાયણ પટેલના આ લેખિત આક્ષેપો મુદ્દે ઉંઝા APMC ના ચેરમેન નો સંપર્ક કરતા તેઓએ આ તમામ આક્ષેપો નકારતા જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 અને 2021-22 દરમ્યાન કોરોના કાળ હતો. જે સમયે ઉંઝા APMC સિવાય પણ જ્યાં સિક્યુરિટી ની જરૂર પડી ત્યાં CSR અંતર્ગત સમાજ સેવાના ભાગ રૂપે સેવા અપાઈ છે. Apmc ઉપરાંત સિવિલ હોસ્પિટલ હોય કે કોવિડ કેર સેન્ટર હોય. આવી અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ઊઝા apmc એ પૂરી પાડી છે. એટલે સ્વાભાવિક છે કે કોરોના કાળ દરમ્યાન ખર્ચમાં પણ વધારો થાય. તો ડિરેક્ટર ના પુત્ર ને ઇંક્રીમેન્ટ અને બઢતી મુદ્દે જણાવ્યું હતું કે, દિનેશ પટેલ નારાયણ કાકા ના પુત્ર ગૌરાંગ પટેલ ના ચેરમેન સમયનો કર્મચારી છે. અને ત્યારથી અત્યાર સુધી તેને મળતા લાભોથી તેને વંચિત રખાયો હતો. જે તેને મળવાપાત્ર હક્ક તેને અપાયો છે. અને અન્ય કર્મીઓને પણ મળવાપાત્ર હક્કો અપાય પણ છે. આ બંને વિષય ઉપજાવેલા અને ખોટા આક્ષેપો છે. ઊંઝા apmcમાં કૌભાંડના આક્ષેપો કરનાર ભાજપના આગેવાન નારાયણ પટેલ અને ભાજપના આગેવાન દિનેશ પટેલ વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે જોવુ એ રહ્યું છે આ આક્ષેપો સાચા સાબિત થશે કે કેમ ?