સાવરકુંડલાના આદસંગ ગામે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને એન્જિનિયર્સની મિલીભગતથી અનેક ઠેકાણે વેરહાઉસના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ ઊઠી
વેરહાઉસના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ
ઇંટોના બદલે બેલા, રેતીના બદલે પાવડર
ક્વોલિટીના નિયમોનો છેદ ઊડાડ્યો
સરપંચની ફરિયાદ ઉચ્ચકક્ષાએ સંભળાશે?
ખેત પેદાશોના સંરક્ષણ અને સંગ્રહ માટે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે વેરહાઉસ બનાવી રહી છે. પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને એન્જિનિયર્સની મિલીભગતથી અનેક ઠેકાણે વેરહાઉસના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ ઊઠી છે. આવું જ એક વેરહાઉસ સાવરકુંડલાના આદસંગ ગામે આકાર પામી રહ્યું છે. પરંતુ ત્યાં પણ હલકા મટિરિયલ અને એસ્ટીમેન્ટ જોગવાઈ વિરુદ્ધ કામ થતું હોવાની બૂમ ઊઠી છે
વેરહાઉસના બાંધકામમાં ભ્રષ્ટાચારની બૂમ
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી ખેત પેદાશો ને સાચવવા માટે વેરહાઉસ અત્યંત જરૂરી છે. આ વાત સરકાર પણ સારી રીતે સમજે છે આથી રાજ્યમાં અનેક સ્થળે વેરહાઉસનું નિર્માણ ચાલી રહ્યું છે. પરંતુ આ નિર્માણકાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઊઠી રહી છે. સાવરકુંડલાના આદસંગ નજીક નિર્માણ પામી રહ્યો છે. આદસંગ ગામ નજીક એક કરોડ 65 લાખના ખર્ચે પાંચ વેરહાઉસનું કામ ચાલી રહ્યું છે. આ નિર્માણાધીન વેરહાઉસમાં ઈંટોના બદલે બેલા અને રેતના બદલે પ્રિમિક્સ પાવડરનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો આરોપ આદસંગ ગામના સરપંચે લગાવ્યો છે.
ઇંટોના બદલે બેલા, રેતીના બદલે પાવડર
આ વેર હાઉસના કામમાં સાવ હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાના સરપંચ અને અન્ય ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. રેતીની જગ્યાએ કાળી કપચીનો પાવડર, ઇંટોના બદલે બેલા તો વપરાઈ જ રહ્યા છે. પરંતુ રાત્રિના સમયે પણ અહીં કામ ચાલુ રાખવામાં આવે છે જે દરમિયાન હલકી ગુણવત્તાનું મટિરિલ વાપરવા મોકળું મેદાન મળી જાય છે. વેર હાઉસના નિર્માણ માટે એસ્ટિમેટમાં જે જોગવાઈઓ છે તેને કોન્ટ્રાક્ટર અને એન્જિનીયર્સ ઘોળીને પી ગયા છે. તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
ક્વોલિટીના નિયમોનો છેદ ઊડાડ્યો
આમ આ વેરહાઉસના નિર્માણ કામમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્થાનિકો અને સરપંચોએ મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી છે છતાં સ્થળ તપાસ માટે કોઈ પણ અધિકારી ફરક્યા નથી ત્યારે જોવાનું એ રહેશે કે, નિયમોને ઘોળીને પી જનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલા લેવાય છે કે, જાહેર નાણાં મિલિભગતથી આ રીતે બરબાદ થવાનો સિલસિલો શરૂ રહે છે.