ગીર સોમનાથ પંથકના ચોંકાવનારા ફોટો અને વિડીયો વાયરલ થયા તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સ્થળ પર પહોંચ્યા, MLAએ કહ્યું અફવા ન ફેલાવશો
ગીર સોમનાથમાં શ્વાન પર અત્યાચાર થતા હોવાનો વીડિયો ફોટા વાયરલ
આ વીડિયો અને ફોટા ગીર સોમનાથના આજોઠા ગામના હોવાનો આક્ષેપ
જીવ દયાપ્રેમીએ દોષિતો સામે પર કડક હાથે કામ લેવા માંગ કરી
તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું આવી કોઈ ઘટના નથી બની
ધારાસભ્યએ કહ્યું-ખોટી અફવાઓ ફેલાવશો નહીં
ગીર સોમનાથના વેરાવળના આજોઠા ગામના એક વિડીયોને લઈ હાલ ખુદ ધારાસભ્ય પણ ત્યાં દોડી ગયા છે. વાત જાણે એમ છે કે, ગામનો એક વિડીયો સામે આવ્યો હતો કે, જેમાં કેટલાક યુવકો શ્વાનોને કોથળામઅ ભરી તેમણે ધોકાથી માર મારતા હોવાનો દાવો થયો હતો. જેને લઈ એક જીવદયાપ્રેમીએ છેક ગૃહમંત્રી સુધી આ મામલે રજૂઆત કરી હતી. આ તરફ ઘટનાને લઈ સ્થાનિક ધારાસભ્ય પોતે ગામમાં દોડી ગયા હતા. જે બાદમાં ધારાસભ્યએ જણાવ્યું કે, શ્વાનોની હત્યા એ માત્ર અફવા છે, આવી કોઈ ઘટના બની નથી.
શું છે સમગ્ર મામલો ?
ગીર સોમનાથના વેરાવળના આજોઠા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં શ્વાન પર અત્યાચાર થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટના 3-4 દિવસ પૂર્વેની હોવાનું અનુમાન લગાવાયુ હતું. આ વિડીયોમાં કેટલાય યુવકો શ્વાનના બચ્ચાને કોથળામાં ભરી રહ્યાનું દર્શાવાયું હતું. જેને લઈ જીવ દયાપ્રેમીએ આ બનાવમાં જે પણ દોષિતો હોય તેના પર કડક હાથે કામ લેવા માંગ કરી હતી.
જીવ દયાપ્રેમીએ ગૃહમંત્રીને કરી રજૂઆત
ગીર સોમનાથના વેરાવળના આજોઠા ગામે શ્વાન સાથે અત્યાચારની ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર તેમજ ગીર સોમનાથ જિલ્લાના પોલીસવડા તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. મહત્વનું છે કે, આ પ્રકારના કૃત્ય માટે ઇન્ડિયન પીનલ કોડની કલમ 428 તેમજ 429 મુજબ ગુનો બને છે. કલમ 429 મુજબ દુષ્કૃત્ય આચરનારને પાંચ વર્ષની જેલની સજા પણ થઈ શકે તેમ છે.
ધારાસભ્ય ભગવાન બારડે શું કહ્યું ?
આ તરફ આ ઘટનાને લઈ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ આજોઠા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, સોશ્યિલ મીડિયામાં જે પ્રમાણે શ્વાનો પર અત્યાવહારની વાતો ચાલી રહી છે તે ખોટી ચાલી રહી હોવાનું કહ્યું છે. આ સાથે ભગવાન બારડે આ ઘટના એક અફવા હોવાનું કહ્યું છે. તાલાળાના ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે, આજોઠા ગામે સમૂહ લગ્ન યોજાયા હતા તે સમયે અહીં એક કુતરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ કુતરી એ 8 લોકોને બચકા ભર્યા જેના કારણે તેને પકડી અને અન્ય જગ્યાએ પર ખસેડી તે વાત સાચી છે પણ કોઈ શ્વાનની હત્યા નથી થઈ.
જે બચ્ચાનો વિડીયોમાં ઉલ્લેખ તે સ્થળ પર જોવા મળ્યા
હાલ આ ઘટનાએ છેલ્લા 24 કલાકથી જોર પકડ્યું છે. આ બાબતે હવે ધારાસભ્યએ દોડી આવવું પડ્યું છે. જોકે ભગવાન બારડે દાવો કર્યો છે કે, આજોઠામા ઘણા શ્વાન હજુ પણ છે અને જે શ્વાનના બચ્ચાની હત્યાની વાત હતી તે બચ્ચાં પણ અહીં સામે જ છે. જેથી આવી અફવાઓ કોઈએ પણ ન જ ફેલાવવી જોઈએ.