ભારત સરકારના ડ્રીમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ થરાદ અને સુઈગામમાંથી પસાર થાય છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકારે જંત્રીના ભાવે મોંઘી જમીનો ખેડૂતો પાસેથી પડાવી લીધી છે. અનેક એવા ખેડૂતો છે કે જેઓ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર હતા. પરંતુ હવે જમીન તેમની પાસે નથી. સરકારે માત્ર નાણાં આપી દીધા છે. પરંતુ જે વળતર મળ્યું છે. તેના કારણે બીજી જમીન ખરીદી શકાય અને રહેવા માટે ઘર ખરીદી શકાય તેવી કોઈ શક્યતા નથી.
જેના કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર જંત્રીના 10 ગણા ભાવ વળતર રૂપે આપે તો ખેડૂતો પગભર બની શકે. જેને લઈને થરાદ નાયબ કલેકટર કચેરી ખાતે જે ગામ વિસ્તારની જમીનો ગઈ છે તે ગામના આગેવાનોએ થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી વધુ વળતર આપવા માટેની માંગણી કરી હતી.
જમીન સંપાદનના વધુ વળતર માટે આજે ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જયાં ખેડૂતોના પ્રતિનિધિઓની માંગણી હતી કે સરકારે જંત્રીના ભાવ થી દસ ગણું વળતર આપે. જે વિસ્તારમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થયો છે ત્યાં ગેરકાયદેસર થતાં તળાવના ખનન બંધ થાય. તેમ જ સ્થાનિક લોકોને આ કામગીરી દરમિયાન રોજગારી આપવામાં આવે તેવી માગણી સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત હતી કે આજુબાજુના ગામના તળાવની માટી મોટાપાયે સુધી રોડના કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેમાં સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.