ભાવનગરમાં રોડ રસ્તાના હલકી ગુણવત્તાના કામોથી પ્રજા પરેશાન, આરસીસીનો રોડ એક વર્ષમાં જ તૂટી ગયો. સ્થાનિકોએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
ભાવનગરમાં રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
મઢીયા ગામે 1 વર્ષ પહેલા બનેલો રોડ પણ તૂટી ગયો
RCCનો રોડ તૂટી જતા સ્થાનિકોએ કર્યા આક્ષેપ
એક તરફ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ તેજ કામોમાં ભ્રષ્ટાચાર. એક તરફ સવલતો પુરી પાડીને મત મેળવવા નેતાઓ દોડી આવે છે પરંતુ કામકાજ થયુ તેની ગુણવત્તા કોણે ચકાસી ? બસ કરોડો રૂપિયાના ટેન્ડર પાસ કરીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પરંતુ કામગીરી યોગ્ય થઇ છે કે નહી તે જોવાનું તસ્દી તંત્ર લેતુ નથી. પરિણામે કરોડો ખર્ચવા છતાં પણ અમુક સમય બાદ પૈસા પાણીમાં ગયા તેવી સ્થિતિ ઉભી થાય છે. ત્યારે ભાવનગરમાં પણ એવું જ થયું.
એક વર્ષમાં જ RCCનો રોડ તૂટી ગયો
ભાવનગરમાં નવા બની રહેલા રોડના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. ભાલ પંથકના મઢીયા ગામે 1 વર્ષ પહેલા બનેલો રોડ તૂટવા લાગતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. RCCનો રોડ એક વર્ષમાં તૂટી ગયો. સમયસર વેરા ભરવા છતાં પણ આવી પોલી કામગીરી કરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. કોન્ટ્રાક્ટરો નીચા ભાવે ટેન્ડર મેળવી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે સ્થાનિકો અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે. પહેલા વલ્લભીપુર હવે ભાલમાં બનેલા હલકી ગુણવતાવાળા રોડ તૂટતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
કોન્ટ્રાક્ટર સામે ક્યારે થશે કાર્યવાહી ?
ત્યારે અહીં સવાલ એ છે કે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે તો તે પછી જાય છે ક્યાં ? આરસીસીના રોડ એક વર્ષમાં તૂટી જાય તો એવી તો કેવા માલસામાન વપરાય છે રોડ રસ્તાના કામોમાં ? ગ્રામજનોને સુવિધા મળે તે માટે સરકાર ગ્રાન્ટ આપે પરંતુ કોન્ટ્રાક્ટરોને તો માત્ર મલાઇ ખાવામાં જ રસ. શું આ કામમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત ? શા માટે વિકાસના કામોમાં થઇ રહ્યો છે ભ્રષ્ટાચાર ? શું કોન્ટ્રાક્ટર સામે કરવામાં આવશે કાર્યવાહી ?