લિવ ઈન રિલેશનને લઇને અલાહાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બે દંપત્તિઓએ કોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી વખતે કોર્ટે કહ્યું કે, લિવ ઈન રિલેશન જીવનનો ભાગ બની ગયુ છે અને તેને સામાજીક નૈતિકતાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ અંગત દ્રષ્ટિકોણથી જોવુ જોઈએ.
લિવ ઈન રિલેશન જીવનનો ભાગ બની ગયુ, હાઈકોર્ટે પોલીસને ખખડાવી
સામાજીક નૈતિકતાના દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ અંગત દ્રષ્ટિકોણથી જુઓ
પોલીસે કોઈ મદદ કરી નથી
જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે કહ્યું કે લિવ ઈન રિલેશનશીપને લઇને હવે દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ. બે દંપત્તિઓ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં પ્રકાશ પાડતા હાઈકોર્ટે કહ્યું કે આ દંપત્તિઓનો આરોપ છે કે યુવતીના પરિવારજનો તેના દૈનિક જીવનમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. પહેલી અરજી કુશીનગરની શાયરા ખાતૂન અને તેના સાથી જ્યારે બીજી અરજી મેરઠની જીતન પરવીન અને તેના પાર્ટનર દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત પોલીસ અધિકારીઓએ તેમની કોઈ મદદ કરી નથી.
કોર્ટે બંધારણનો કર્યો ઉલ્લેખ
દંપત્તિએ કોર્ટને કહ્યું કે તેમની જાન અને સ્વતંત્રતાને નજર અંદાજ કરવામાં આવી રહી છે. દરેક દલીલો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે લિવ ઈન રિલેશન જીવનનો ભાગ બની ગયુ છે અને તેની પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે. લિવ ઈનને ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારથી મળેલી ખાનગી સ્વાયતત્તાના દ્રષ્ટિકોણથી જોવુ જોઈએ. સામાજીક દ્રષ્ટિકોણથી તેનું મુલ્યાંકન ના કરવુ જોઈએ.
કોર્ટે UP પોલીસને તતડાવી
કોર્ટે પોલીસના વલણ પર નારાજગી દર્શાવતા કહ્યું કે પોલીસ અધિકારીએ આ અરજદારોના અધિકારોની સુરક્ષા કરવી જોઈએ. કોર્ટે આદેશ આપ્યો કે આવી સ્થિતિમાં જ્યારે અરજદારો સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરી પોતાની જાન અને સ્વતંત્રતા અંગેની ફરિયાદ કરે તો પોલીસ અધિકારી કાયદા હેઠળ પોતાની જવાબદારીનું પાલન કરશે.