ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; ડમીકાંડ મુદ્દે ભાવનગર રેન્જ આઈજી જણાવ્યું કે, SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે અને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ પાઠવ્યું છે
ગરમીની તીવ્રતા અચાનક જ ભયાનક હદે વધી જતાં અમદાવાદ શહેરમાં 108 ઇમર્જન્સી સર્વિસને મળતા કોલમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીના કારણે બીમાર પડતાં લોકોની સંખ્યા પણ વધી છે. હવામાન નિષ્ણાતોના મતે આવતી કાલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. જયારે 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. તા.25-26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ એક ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં એક ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે તો બીજી તરફ રાહત આપનારા સમાચારમાં હાલ એલર્ટની કોઈ આગાહી નથી.
ભાવનગરમાં ડમીકાંડ મુદ્દે ભાવનગર રેન્જ આઈજી જણાવ્યું કે, SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે અને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, 36 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે જેમાંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસમાં સામેલ તમામની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આક્ષેપો સામે તેમનો પક્ષ જાણવો પણ જરૂરી છે અને બીપીન ત્રિવેદી પાસેથી વધુ વિગતો પણ મળી છે તેમજ હાલમાં બીપીન ત્રિવેદીની પૂછપરછ ચાલુ છે અને હજુ પણ અન્ય આરોપીની પૂછપરછ ચાલુ છે.રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, મોટા ભાગના આરોપીની સામે પુરાવા મળ્યા છે અને પુરાવા સાબિત થયા બાદ યુવરાજ સામે કેસ કરાશે અને ધરપકડ કરાશે તેમજ મિલનની સામે મળેલા પુરાવા અંગે હજુ તેના પુરાવાની તપાસ ચાલુ છે તેમણે કહ્યું કે, યુવરાજસિંહનું નામ આવતા તેમનો પક્ષ રાખવા માટે આજે બોલાવ્યા હતા તેમણે વધુમાં ઉમેર્યું કે, 36 આરોપીની FRI સામે માત્ર 6ની ધરપકડ કરી છે. ભાવનગર જિલ્લામાં હાલમાં SITની ટીમો તપાસ કરી રહી છે તેમજ બીપીન ત્રિવેદીના આરોપોને લઈને યુવરાજસિંહને સમન્સ આપ્યુ છે.
ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો જાહેર કરી દેવામા આવ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિની જાહેરાતની સાથે જ વિધાનસભામાં ઇતિહાસ રચાયો છે. જેમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુ વાઘાણીને બનાવાયા છે. મહત્વનું છે કે જાહેર હિસાબ સમિતિ ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષને સ્થાન મળ્યું છે.આ ઉપરાંત જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના પણ 2 સભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાને સમિતિમાં સ્થાન અપાયુ છે. વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંદાજ સમિતિના ચેરમેન તરીકે મનીષાબેન વકીલને આરૂઢ કરાયા છે. તેમજ અંદાજ સમિતિમા કોંગ્રેસના ડો.તુષાર ચૌધરીનો સમાવેશ કરાયો છે. તથા રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા કોંગ્રેસના અનંત પટેલને પણ સ્થાન મળ્યું છે. તે જ રીતે પંચાયતી રાજ સમિતિમાં પંકજ દેસાઈને અધ્યક્ષ બનાવાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ સ્થાન મળ્યું છે. તો રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા પી.સી.બરંડા અધ્યક્ષ બન્યા છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સમિતિમાં કિરીટ પટેલ, હાર્દિક પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જીવન ટૂંકાવવાના પ્રયાસની બે ઘટના સામે આવી છે.અમદાવાદ રિવરફ્રન્ટ પર જીવન ટૂંકાવતી બે યુવતીઓને પોલીસ બચાવી લીધી છે. એક ઘટનામાં પ્રેમી ફોન ન ઉપાડતા યુવતી સાબરમતી કુદવા ગઈ હતી જ્યાં કોઈ દુર્ઘટના ઘટે તેના પહેલા પોલીસ ટીમને ધ્યાન પર આવતા બચાવી લેવાઈ છે. મળતી વિગતો મુજબ પશ્ચિમ વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમી સાથે કાઉન્સલિંગ કરી સમજાવાઈ છે. પોલીસે લાંબી સમજાવટ કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બીજા કિસ્સામાં એક પરણિતા નદીમાં કૂદી જીવન ટૂકાવવાનો પ્રયાસ કર્યો છે. પરણિતા આ કરવા પાછળનું કારણ જણાવા મળ્યું હતું કે તેને અલગ રહેવાની જીદના કારણે તે નદીમાં કૂદી હતી. જે સમગ્ર બાબત પોલીસના ધ્યાને આવતા પોલીસે પરણીતા મહિલાને બચાવી લીધી હતી. બન્ને સારા ઘરની યુવતીઓને પોલીસ બચાવી કાઉન્સિલિંગ કર્યું હતું. યુવતીના પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો
સરગાસણમાં દલિત પ્રોફેસરને મકાન ન મળતા બિલ્ડર સામે ફરિયાદ કરવામાં આવી હતી. સરગાસણની ઓરિજિન હાઇ્ટસમાં પ્રોફેસરને મકાન અપાયું ન હતું. પ્રોફેસરે અડાલજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. રાવ ઉઠી છે કે ઓરિજિન હાઇટ્સમાં મકાન હોવા છતાં બિલ્ડરે વેચવાની ના પાડી હતી. જેમાં ખરીદનાર SC જાતિના હોવાથી મહેન્દ્ર ચૌધરી નામના વ્યક્તિએ એસ.સી કેટેગરીના લોકોને ફ્લેટ આપવાની ના પાડી હતી. હાલ અડાલજ પોલીસે પ્રોફેસરની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.VTV દ્વારા થોડા સમય પહેલા એક સ્ટિંગ કરવામાં આવ્યુ હતું અને જેમાં અમદાવાદના અનેક બિલ્ડરો ચોક્કસ જ્ઞાતિને જ ફ્લેટ આપતા હોવાનું સામે આવ્યું હતું. આવો જ એક કિસ્સો ગાંધીનગરના સરગાસણ ખાતે પણ રજનીકાંત ચૌહાણ સાથે બન્યો હોવાનું સામે આવ્યું છે અને રજનીકાંત દ્વારા આખી ઘટનાની અડાલજ પીલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પાટણ ખાતે કોંગ્રેસનો ભારત સત્યાગ્રહ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર રહેતા રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધી સામે થયેલા કેસ મામલે કાર્યક્રમ યોજ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસના ધારાસભ્યને હાજર રહેવા ફરમાન પણ હતું. જેમાં કિરીટ પટેલ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયો છે. કિરીટ પટેલ સાથે રઘુ દેસાઇ પણ ગેરહાજર રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે, જગદીશ ઠાકોર સામે અગાઉ રઘુ દેસાઈએ આક્ષેપ કર્યા હતાં.
ભારત માટે સારા સમાચારની સાથે પડકારજનક સમાચાર એ છે કે વસતિની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પહેલા નંબરનો દેશ છે અને તેણે ચીનને પાછળ છોડ્યું છે. આ વસતિ વધારા પાછળ સંયુક્ત રાષ્ટ્રએ મહત્વના વૈજ્ઞાનિક તારણ પણ કાઢ્યા છે. ભારતે એ જોવું પડશે કે સૌથી વધુ વસતિ ધરાવતા દેશ તરીકે ફાયદા કેટલા છે, પડકાર કેટલા છે, અને બંનેને બેલેન્સ કઈ રીતે કરવા. એક મહત્વનું પાસુ એ પણ છે કે 15થી 64 વર્ષની વયજૂથના આપણા દેશમાં 68 ટકા લોકો છે હવે આ પ્લસ પોઈન્ટનો ભારત કઈ રીતે ફાયદો ઉઠાવે છે તે અગત્યનું છે. વધતી વસતિ દેશના આર્થિક અને સામાજિક પાસાને પણ અસર કરે છે, વધતી વસતી લોકોને મળતી તકને પણ અસર કરે છે. જો કે આ વસતિ વધારો આજકાલનો નથી અને એકંદરે દેશ આવી સ્થિતિમાંથી સાંગોપાંગ બહાર ઉતર્યો છે
અમદાવાદના નોકરિયાતો, વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળતી હતી.
UGC કોલેજ કે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષામાં પેપર આપવા દેવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. UGCના ચેરમેન જગદેશ કુમારે જણાવ્યું હતું કે, એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓને સ્થાનિક/પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપવા જણાવ્યું છે, પછી ભલેને આ કોર્સ અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવે. સ્થાનિક ભાષાઓમાં અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Chardham Yatra 2023 Advisory:ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. તે જ સમયે, હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ખરાબ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પણ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે આરોગ્ય વિભાગના સચિવ ડૉ. આર. રાજેશ કુમારે આરોગ્ય સલાહકાર જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે ચારધામ યાત્રાના તમામ તીર્થ સ્થાનો ઉચ્ચ હિમાલયના ક્ષેત્રમાં સ્થિત છે, જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ છે. તે સ્થળોએ પ્રવાસીઓ અતિશય ઠંડી, ઓછી ભેજ, ઓછી હવાના દબાણ અને ઓછા ઓક્સિજનની માત્રાથી પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે ચોક્કસપણે સલાહનું પાલન કરો. દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવશે. કોરોના સંક્રમણને રોકવા માટે, યાત્રા પર આવતા યાત્રિકોએ કોવિડના નિયમોનું પાલન કરવું પડશે. જેમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝર, કોવિડના લક્ષણો પરના ટેસ્ટનો સામેલ છે.
ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં દરવર્ષે હજારો ફિલ્મો બને છે. દર્શકો પણ સિનેમાઘરોમાં જઈને ફિલ્મ જોવા માટે ઉત્સુક રહે છે. ઘણીવાર ફિલ્મોને પાઈરેસીનાં કારણે ઘણું નુક્સાન ભોગવવું પડે છે. ફિલ્મો ઓનલાઈન લીક થઈ જાય છે જેથી ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો સરકારને આ મુદે કોઈ કાયદો બનાવવાની માંગ કરી રહ્યાં છે.બુધવારે મોદી સરકારની કેબિનેટની બેઠક થઈ હતી જેમાં મનોરંજન જગત સાથે સંકળાયેલો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સંસદનાં આવતા સત્રમાં સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવામાં આવશે જેનાથી પાઈરેસી પર રોક લગાવવામાં મદદ મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. દિલ્હી પુસા સંસ્થાનમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ વખત તેઓ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓ સાથે હતા, આ કોન્ફરન્સમાં દેશમાં નાર્કોટિક્સ પર અંકુશ લાવવાની વ્યૂહરચના બનાવવામાં આવી હતી. ગૃહમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોદી સરકાર ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે 2047 સુધીમાં ભારતને ડ્રગ ફ્રી બનાવીશું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તે આપણા ધ્યાનમાં હોવું જોઈએ.
લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ મેચમાં પ્રથમ વખત હરાવ્યું છે. ચાર વર્ષ પછી ઘરઆંગણે પ્રથમ મેચ રમી રહેલા રાજસ્થાનને આ સિઝનમાં બીજી હાર મળી છે.ચાર વર્ષ બાદ પોતાના ઘરે રમી રહેલી રાજસ્થાન રોયલ્સ માટે વાપસી સુખદ ન રહી. મુશ્કેલ પીચ પર રાજસ્થાન રોયલ્સના મોટા હિટરો પણ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 155 રનના લક્ષ્ય સુધી પહોંચી શક્યા ન હતા અને ટીમે 10 રને હારી ગઈ હતી. માર્કસ સ્ટોઇનિસ (21 રન, 2/28)ના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે લખનૌએ આ સિઝનમાં તેમની ચોથી જીત નોંધાવી હતી. બીજી તરફ રાજસ્થાનની 6 મેચમાં આ બીજી હાર છે.