વિરાટ કોહલી હવે ભારતની વન-ડે ટીમના કેપ્ટન નથી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં વિરાટને કેપ્ટન પદેથી હટાવવાને કારણે ખૂબ વિવાદ થયો છે. વિરાટની પત્રકાર પરિષદ બાદ પસંદગીકારો અને બીસીસીઆઈ અધ્યક્ષના દાવા પર સવાલ ઉઠી રહ્યાં છે. જેના પર ઘણાં પૂર્વ ક્રિકેટરો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
વિરાટને વન-ડેના કેપ્ટન પદેથી હટાવ્યાં બાદ પૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા
વિશ્વ કપ વિજેતા પૂર્વ ઓલરાઉન્ડર કીર્તિ આઝાદના પ્રહાર
વિરાટનો ક્રિકેટનો અનુભવ પસંદગીકારોના અનુભવ કરતા વધારે
વિરાટ કોહલી માત્ર ટેસ્ટ ટીમના કેપ્ટન
ટી-20ની કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટ કોહલીને વન-ડેની કેપ્ટનશિપમાંથી પણ હટાવી દીધો છે અને હવે તેઓ માત્ર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન છે. વિરાટના બદલે રોહિત શર્માને ટી-20 અને વન-ડે ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં ટેસ્ટ શ્રેણી રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઇ છે અને આવતા અઠવાડિયાથી અહીં પહેલી ટેસ્ટ મેચ રમશે.
કીર્તિ આઝાદનો પસંદગીકારો પર મોટો હુમલો
વિશ્વ કપ વિજેતા પૂર્વ ઓલરાઉન્ડર અને રાષ્ટ્રીય પંસદગીકાર તરીકે રહેલા કીર્તિ આઝાદે પણ પસંદગીકારો પર મોટો હુમલો કર્યો છે. આઝાદે કહ્યું, પસંદગીકારોએ આ સંદર્ભે પહેલાં ગાંગુલીને જણાવવાનું હતુ અને તેની મંજૂરી બાદ વિરાટને કોલ કરવાનો હતો. આ એક પ્રક્રિયા છે જે દાયકાઓથી ચાલી રહી છે.
વિરાટને ક્રિકેટનો અનુભવ વધારે: કીર્તિ આઝાદ
કીર્તિ આઝાદે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, જો આ પસંદગીકારોનો નિર્ણય હતો તો તેમણે બીસીસીઆઈ અધ્યક્ષની પાસે જવાનુ હતુ. સામાન્ય રીતે એવુ હોય છે કે ટીમની પસંદગી થયા બાદ અધ્યક્ષને જણાવવામાં આવે છે અને તેમની મંજૂરી લેવામાં આવે છે. પૂર્વ ક્રિકેટરે પસંદગીકારો પર શાબ્દિક હુમલો કરતા કહ્યું, કોહલી ભલે પસંદગીકારો દ્વારા આપેલી સૂચના બાદ સહમત થયા હોય. પરંતુ તેઓ દુ:ખી હતા. તેમણે કહ્યું, વિરાટ કોહલી પસંદગીકારોનું અપમાન કરવા માગતા નથી. પરંતુ વિરાટનો ક્રિકેટનો અનુભવ તેમના અનુભવથી વધારે છે. બધા પસંદગીકારોના મેચના અનુભવને ભેગો કરી દઈએ તો પણ વિરાટના અનુભવની સામે તેમનો અનુભવ ઓછો છે.