મુંબઇઃ પુલવામા આતંકવાદી હુમલા બાદ એક બાદ એક પાકિસ્તાન વિરૂદ્ધ ચોતરફી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનારા પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
પ્રત્રમાં સ્પષ્ટરીતે કહ્યું છે કે સત્તાવાર પ્રતિબંધ છતા પણ કોઇ સંગઠન પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરશે તો AICWA તેમને પ્રતિબંધિત કરશે અને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પત્રમાં પુલવામા આતંકવાદી હુમલાની ટીકા કરવામાં આવી છે જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા.
આ ગંભીર સ્થિતિમાં અજય દેવગણે પણ ટ્વીટ કર્યું કે તેમની આગામી ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ટોટલ ધમાલમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સહિત મલ્ટી સ્ટાર કાસ્ટ છે અને આ શુક્રવાર 22 ફેબ્રુઆરીએ સક્રીન પર આવશે. આ સિવાય ટોટલ ધમાલની ટીમ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ સૈનિકોના પરિવારોને પણ 50 લાખ રૂપિયાનું દાન કરશે.