ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની 4800 બ્રાન્ચનું કામકાજ અટકી જશે
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ જાહેર કરી છે. બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આ એલાન કરવામાં આવ્યું છે. બેન્ક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં વધુ પ્રમાણમાં જોડાય તે માટે સોશિયલ મીડિયામાં હાલ આંદોલન પણ ચલાવાઈ રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો 70,000 બેન્ક કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આપેલ તારીખ મુજબ હડતાળ સફળ રહે તો ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની 4800 બ્રાન્ચનું કામકાજ અટકી જશે.
શું છે બેન્ક હડતાળનું કારણ?
રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ બાયો ચઢાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો વિરોધ કરશે. આ અંગે બેંક કર્મચારીઓનું માનવુ છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે. જેને લઈને થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો ભય છે. આ નિર્ણયથી ગ્રાહકોને સૌથી મોટી અસર થશે. સરકારના નિર્ણયના વિરોધમાં ગુજરાતમાં 7 ડિસેમ્બરે કર્મચારીઓ ધરણાં અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવશે અને ગ્રાહકો પાસેથી બેંકના કર્મચારીઓ સહી અભિયાન પણ ચલાવશે.
ગુજરાત પર શું થશે અસર?
આ હડતાળની ચીમકીથી દેશમાંથી 10 લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે.ગુજરાતમાં 4800 બેન્ક બ્રાન્ચો બંધ રહે તેવી શકયતા છે. અને રાજ્યના 70,000 બેન્ક કર્મચારીઓ હડતાળ કરે તો તેના પગલે રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જવાનો ભય છે.
સોશિયલ મીડિયા અને હવે જમીની સ્તરે થઈ રહ્યો છે બિલનો વિરોધ
આગામી સમયે મળનાર શિયાળુ સત્ર માં બેન્ક ને લાગતું બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયક ને લઈ બેન્ક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા માં ચાલી રહેલ લડત સાથે બેન્ક કર્મીઓએ હવે જમીની સ્તરે પણ દેખાવો શરૂ કરતાં 26 નવેમ્બરના રોજ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે દેખાવો યોજ્યા હતા. બેંકોના ખાનગીકરણ સામેના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફિડરેશન એ ધારણા પ્રદર્શન કર્યા હતા. બેંકોના ખાનગીકરણ સામે જનતાને જાગૃત કરવા અભિયાન ચલાવાઈ રહ્યું હોવાનું બેન્ક કર્મીઓ એ જણાવ્યું હતું.ગ્રાહકોની કરોડોની મૂડી ખાનગી ઉદ્યોગકારોને હાથમાં આવશે તો નાના માણસો ને લોન નહીં મળે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે..
કેમ બિલનો વિરોધ?
છેલ્લા 4 વર્ષમાં સરકારે 14થી વધારે બેંકોનુ વિલીનીકરણ કરી નાખ્યું છે ત્યારે હવે બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયકને જો મજૂરી મળી જાય તો કર્મચારીઑના દાવા પ્રમાણે ખાનગી માલિકના હાથમાં સત્તા જતી રહેશે આથી બેન્કના થાપણદારો તેમજ કર્મચારીઑને મોટું નુકસાન થવાની ભીતિ છે. જેથી કર્મચારીઓ અવનવા કારણો આગળ ધરી વિરોધના ભાગ રૂપે 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.