ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનયાત્રા દરમિયાન પાકિસ્તાનને આતંકવાદની નિકાસ કરતી ફેક્ટરી ગણાવી હતી. ત્યારબાદ ચીને પાક.ની તરફેણ કરતા કહ્યું હતું કે પાકિસ્તાનને આખા વિશ્વએ મદદ કરવી જોઈએ.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુ ચુનયિંગને મોદીની ટીપ્પણી અંગે સવાલ કર્યો હતો તેણે પાકિસ્તાનનું સમર્થન કરતા કહ્યું હતું કે આતંકવાદ આખા વિશ્વની સમસ્યા છે અને પાકિસ્તાન આતંકવાદ સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે વિશ્વના તમામ દેશોએ પાકિસ્તાનને સહકાર આપવો જોઈએ.
અમેરિકા સહિતના વિશ્વભરના દેશો જ્યારે સ્વીકારે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને છૂટો દોર આપે છે પાકિસ્તાનની મદદથી આતંકવાદીઓ ભારત-અફઘાન જેવા પાડોશી દેશોને પરેશાન કરે છે તેમ છતાં ચીન ખુલ્લેઆમ પાક.ની આતંકવાદી નીતિને સમર્થન કરતું રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ બ્રિટનમાં જઈને પાક વિરોધ નિવેદન આપ્યું તે સાથે જ ચીન હરકતમાં આવ્યું હતું અને પાકિસ્તાનને વિશ્વના દેશોએ સહકાર આપવાનું જણાવ્યું હતું.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ચીનની મુલાકાત માટે જઈ રહ્યા છે તે પહેલાં ચીને ફરીથી આતંકવાદ વિરોધી લડતના ભારતના મુદ્દાનું સમર્થન કરવાને બદલે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે તેની બંને દેશોના વિદેશ મંત્રીની મુલાકાત ઉપર પણ અસર થઈ શકે એવી શક્યતા નકારી શકાય નહીં.
ચીનમાં સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક મળી રહી છે અને સુષ્મા સ્વરાજ બેઠકમાં ભાગ લેવા ચીનની યાત્રાએ જશે અને 24 એપ્રિલે બેઠકમાં હાજરી આપશે. SCOના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની બેઠક પણ મળવાની છે તે માટે ભારતના સંરક્ષણ મંત્રી નિર્મળા સિતારામન પણ આવતા સપ્તાહમાં ચીનની મુલાકાતે લેશે.