સુરત(Surat)માં કોરોનાના કારણે સ્થિતિ કથળી રહી છે. સતત વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સુરતથી દોડતી ST બસ અને ખાનગી બસ હજુ 7 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 27 જુલાઇથી સુરતમાં બસ સેવા બંધ રખાયેલી છે. ત્યારે હવે જન્માષ્ટમીના તહેવારમાં પણ આ સેવા બંધ રાખવામાં આવી છે.
સુરતમાં કોરોના સંકટ વચ્ચે મહત્વના સમાચાર
સુરતથી દોડતી ST બસ અને ખાનગી બસ હજુ 7 દિવસ રહેશે બંધ
બસ સેવા છેલ્લા 10 દિવસ બંધ રખાઇ હતી
સુરતમાં હજુ 7 દિવસ સુધી તમામ એસટી બસો અને ખાનગી બસોનું સંચાલન બંધ રહેશે. આ નિર્ણય એસટી અને ખાનગી તમામ બસો માટે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ આવતીકાલે 27 જુલાઈથી 10 દિવસ માટે બસ સંચાલન સ્થગિત કરાયું હતું. જ્યારે હજુ 7 દિવસ એટલે કે 15 જુલાઇ સુધી તમામ બસોની અવર જવર પર પ્રતિબંધ યથાવત રખાયો છે. આ સમયગાળામાં અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન તથા ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.
હાલ સુરતમાં કોરોનાની શું છે સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 237 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 187 અને સુરત જિલ્લામાં 50 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 14,308 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 218 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 10,048 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 466 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3794 એક્ટિવ કેસ છે.