ગુજરાતમાં વરસાદી માહોલ જામતા ડેમો અને નદીઓમાં આવ્યા નવા નીર, વાસણા બેરેજના તમામ 24 દરવાજા ખોલાયા
વાસણા બેરેજના તમામ 24 દરવાજા ખોલાયા
વાસણા બેરેજ ખાતે 8 હજાર 358 ક્યુસેક પાણીની આવક
વાસણા બેરેજની હાલની જળ સપાટી 127 ફૂટ
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેને લઇને નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વિવિધ ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ નદીઓ બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલાયા છે. મેઘરાજા મહેરબાન થતા વાસણા બેરેજ ખાતે 8 હજાર 358 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. તો આવક સામે વાસણા બેરેજમાંથી 21 હજાર 630 ક્યુસેક પાણી છોડાયું છે. વાસણા બેરેજની હાલની જળ સપાટી 127 ફૂટ નોંધાઇ છે. ધરોઈ ડેમ અને નર્મદાનું પાણી સાબરમતીમાં આવતા બેરેજના દરવાજા ખોલાયા છે.
સાબરમતી નદીમાં પાણીની આવક
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. ધરોઈ ડેમ અને નર્મદાનું પાણી સાબરમતીમાં આવતા બેરેજના દરવાજા ખોલાયા છે. મહત્વનું છે કે ધરોઇ ડેમમાંથી 66,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું.
રિવરફ્રન્ટ વૉક વે કરાયો બંધ
ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે ડેમનું પાણી નદીમાં છોડાતા કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે.નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી વોક વે બંધ રહેશે.