૧ જુલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો ઝળુંબી રહ્યો છે. ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ બાલતાલ રૂટથી પસાર થનારી અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાદળોને નિશાન બનાવી શકે છે.
અમરનાથ યાત્રાને લઇને મલ્ટિ એજન્સી સેન્ટર તરફથી જારી કરવામાં આવેલ સ્પેસિફિક એલર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ અનેે કંગન વિસ્તારની પહાડીઓમાં આતંકીઓ છુપાયા હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા છે.
અમરનાથ યાત્રાના બે રૂટ પૈકી એક બાલતાલ રૂટ છે અને આ રૂટ પર ૧ જુલાઇથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ અનુસાર પહાડીઓ પાછળ છુપાયેલા જૈશ-એ-મોહંમદના આતંકીઓ બાલતાલ રૂટથી પસાર થનાર અમરનાથ યાત્રા અનુસાર સુરક્ષાદળોને નિશાન બનાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને લઇને કોઇ પણ પ્રકારની સંતુષ્ટિમાં રાચવા સામે અધિકારીઓને ચેતવણી આપી છે. તેમણે અમરનાથ યાત્રીઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (એસપીઓ)ને સખતાઇથી લાગુ કરવા સૂચના આપી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં વડપણ હેઠળ યોજાયેલી સમીક્ષા બેઠક પર પત્રકારોને માહિતી આપતાં આંતરિક સુરક્ષાના સ્પેશિયલ સેક્રેટરી એ.પી.માહેશ્વરીએ જણાવ્યું છે કે સમગ્ર યાત્રા દરમિયાન સુરક્ષાદળોએ ડયૂટી સ્ટાફ દ્વારા કોઇ પણ પ્રકારની સંતોષની લાગણી સેવવી જોઇએ નહીં અને સતત એલર્ટ રહેવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે આ બાબતમાં કોઇ બાંધછોડ કરવી જોઇએ નહીં. એસપીઓનો સખતાઇથી અમલ કરવો જોઇએ. વરિષ્ઠ અધિકારીઓને પણ વ્યકિતગત રીતે વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અમિત શાહે હિંસા મુકત અમરનાથ યાત્રા સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા અને તકેદારી તમામ પગલાં ભરવા કડક સૂચનાઓ આપી છે.