તમિલનાડુમાં લશ્કર-એ-તોયબાના આતંકીઓની ઘુસણખોરી અંગેના ઇનપુટ મળ્યા બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસે કહ્યું શુક્રવારના રોજ જાણકારી આપી હતી. કોઈમ્બતુરના પોલીસ અધિકારી સુમિત શરણે કહ્યું કે, આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની સૂચના મળ્યા બાદ શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
અધિકારીઓએ જણાવ્યું કે, ખાનગી જાણકારી આ તરફ ઇશારો કરી રહી છે કે, શ્રીલંકાના સમુદ્ર માર્ગે રાજ્યમાં લશ્કર-એ-તોયબાના છ આંતકવાદીઓ આવ્યા અને તમિલનાડુના કોઈમ્બતુરથી ભારતમાં ઘૂસ્યા છે. પોલીસે જણાવ્યું કે, રાજ્યમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને પૂજા સ્થળો સહિત કેટલીય જગ્યા પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
સાવચેતી અંગે લેવાયા પગલા
તેમણે કહ્યું કે ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોઈ પણ સંભવિત ઘૂસણખોરી અટકાવવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નાઈ પોલીસ કમિશનર એકે વિશ્વનાથને કહ્યું કે સાવચેતી અભિયાન પણ હાથ ધરી દેવામાં આવ્યું છે. શરણે માહિતી આપી હતી કે 10 ઝડપી પ્રતિક્રિયા ટીમોની વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવવામાં આવી છે. જેથી જરૂર પડે ત્યારે કાર્યવાહી કરી શકાય.
ખાનગી ચેનલો ચલાવી રહી છે સંદિગ્ધોની તસવીર
આ સાથે જ તેમણે કહ્યું કે, કેટલીક સમાચાર ચેનલ સંદિગ્ધોની તસવીરો ચલાવી રહી છે પરંતુ પોલીસે હજી સુધી સત્તાવાર રીતે કોઇ તસવીર જાહેર કરી નથી. સૂચના અને સંદિગ્ધો સાથે જોડાયેલી જાણકારીના આધાર પર તપાસ હાથ ધરવામાં આવી છે. તમિલનાડુમાં આ એલર્ટ પહેલા જુનમાં NIA એ ISIS તમિલનાડુ મોડ્યૂલના કથિત પ્રમુખ અઝરૂદ્દીનની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ 15મી ઓગસ્ટે પણ દેશભરમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આતંકી હુમલાના એલર્ટ બાદ 15મી ઓગસ્ટે દેશના તમામ મોટા રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવતા તમિલનાડુ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી છે.