ભાવનગરમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં જહાજ ભાંગવાના વ્યવસાયને લૉકડાઉન દરમયાન કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. સામાન્ય રીતે દર મહિને 35થી વધુ જહાજો ભાંગવા માટે આવતા હતા. પરંતુ લૉકડાઉનના 55 દિવસમાં માત્ર 4 જહાજ ભાંગવા આવતા કેન્દ્ર સરકારને પણ એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડને બીચીંગ ચાર્જ મળીને 2 માસમાં 600 કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. હવે આ વ્યવસાય ફરી ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે અને શિપબ્રેકરો પણ કરોડો રૂપિયાના ખાડામાં ઉતરી ગયા છે.
અલંગ બંધ રહેતા 600 કરોડાના નુકશાનનો અંદાજ
શિપબ્રેકરો પણ ખાડામાં ઉતરી ગયા
અલંગ શિપબ્રેકીંગ યાર્ડ 2 મહિનાથી હતું બંધ
ભાવનગરના અલંગમાં જહાજ ભાંગવાનો આ વિશ્વ વિખ્યાત વ્યવસાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મંદીમાં હતું. ત્યાં ડોલરના ભાવ ઉચકાતા આ વ્યવસાય પર માઠી અસર થવા પામી હતી. ત્યાં લૉકડાઉનના કારણે આ ઉદ્યોગ 2 માસથી બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. ભાવનગરના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે 40 વર્ષના ઇતિહાસમાં નહીં કહી કે સહી શકાય તેવી ગંભીર આર્થિક કટોકટી ઉભી થવા પામી છે. 1982માં ભાવનગરના અલંગ ખાતે જહાજ ભાંગવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં વિદેશી જહાજો ભાંગવા આવે છે અને તેમાંથી નીકળતો સ્ક્રેપ અને તેમથી બનતું સળિયા સહિત મટિરિયલ્સ દેશભરમાં વહેંચવામાં આવે છે.
કોરોના વાયરસની ઇફેક્ટ આર્થિક રીતે અલંગના વ્યવસાયને જોરદાર પડી છે. અલંગ શિપ યાર્ડમાં જે જહાજ ભંગાવનું કામ કરવામાં આવે છે તે પરપ્રાંતિય મજૂરો દ્વારા કરવામાં આવે છે. અહીં 42 ડિગ્રી તાપમાનમાં પણ શ્રમિકો દરિયાઇ કિનારે ગેસ કટર દ્વારા આ જાહજને તોડવાનું કામ કરે છે. અહીં સમાન્ય રીતે જ્યારે વ્યવસાય ચાલતો હોઈ ત્યારે દર મહિને 35 જેટલા જહાજો ભાંગવા માટે આવે છે. તેમાંથી લાખો ટન માલ સ્ક્રેપ સ્વરૂપમાં બહાર આવે છે.
સરકારને 2 મહિનામાં 600 કરોડનું નુકસાન
લોકડાઉનના 55 દિવસ દરમ્યાન અહીં કામ બંધ રહેવા પામ્યું છે. તેના કારણે 2 માસમાં માત્ર 4 જહાજ અહીં ભાંગવા માટે આવ્યા છે. અહીં વિદેશી ક્રૂને આવવાની પરમિશન ના હોવાથી કોઈ જહાજ ભાંગવા આવ્યા નથી. સામાન્ય રીતે દર મહિને કેન્દ્ર સરકારને અહીંથી કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટી મળીને 220 કરોડની આવક થતી હોય છે. જ્યારે ગુજરાત સરકારના જીએમબી વિભાગને 10 કરોડની આવક થાય છે. આમ, બે માસમાં સરકારને અહીંથી 500થી 600 કરોડોનું ટેક્સમાં જ નુકશાન થયું છે તો આવકની દ્રષ્ટિએ શિપબ્રેકરોને પણ કરોડોનું નુકશાન થયું છે.
ભાવનગરના અલંગ ખાતે આવેલ આ જહાજ ભાંગવાના વ્યવસાયના સંલગ્ન એવો રોલિંગ મિલનો ઉદ્યોગ તમેજ ઓક્સિજન પ્લાન્ટ અને જહાજમાંથી નીકળતા માલસમાન કે જેમ રાચરચીલું તેમજ ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમનો સમાવેશ થાય છે. આ માલ જે સ્થળે વહેંચાય છે તે ખાડાઓમાં પણ હાલ મંદીનો માહોલ છે.
પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જતા 140 પ્લોટમાંથી 69 પ્લોટમાં જ કામ શરૂ
અલંગમાં આવતા જહાજો વિદેશી હોવાના કારણે અહીં 22 ટકા ડ્યુટી લગતી હોય છે. અહીં લૉકડાઉન પહેલા 16000 શ્રમિકો હતા. પરંતુ હવે સરકારે શ્રમિકો માટે પોતાના વતન જવાની છૂટી આપતા અહીંથી 12000 શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે જેથી અહીં માત્ર હવે 4000 શ્રમિકો જ રહ્યાં છે. અહીં 140 પ્લોટમાંથી અત્યારે 69 પ્લોટમાં જહાજ તોડવાનું કામ લૉકડાઉન બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે. અહીં જહાજોમાંથી લોખંડની પ્લેટ સહિતનો સ્ક્રેપ નીકળી રહ્યો છે પણ હાલ બજારમાં કોઈ લેનાર જ નથી તેના કારણે પ્લોટમાં માલનો ભરાવો પણ થયો છે. બીજી બાજુ અત્યારે આવક ના હોવાથી શિપબ્રેકરો બેંકોને પણ પૈસા ચૂકવે શકે તેવી કોઈ સ્થિતિમાં નથી. આથી શિપબ્રેકરોની હાલત પણ કફોડી બની છે.