બોલિવુડ એક્ટર અક્ષય કુમાર આજકલ કોરોના વાયરસની સામે જંગ જીતવા માટે કરેલી આર્થિક સહાયના લીધે ચર્ચામાં છે. અક્ષયે કોરોના સામે લડવા માટે પ્રધાનમંત્રી રીલિફ ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. જોકે રવિવારે સવારે અક્ષય કુમાર અને તેની પત્ની એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના હોસ્પિટલથી પરત ફર્યા હતા, જે પછી સતત અટકળો ચાલી રહી છે..
વાસ્તવમાં ટ્વિંકલ ખન્નાએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે.જેમાં તે જણાવી રહી છે કે, રવિવારે સવારે તે અક્ષય સાથે હોસ્પિટલથી ઘરે આવી છે.આ વીડિયો શૅર કરવાની સાથે ટ્વિંકલે કહ્યુ કે તેણે કોઇ કોરોના વાયરસ થયો નથી. વીડિયોમાં ટ્વિંકલ કહી રહી છે, ''રવિવારની સવારના 10.30 થયા છે, મુંબઇના રસ્તાઓ ખાલી છે. કેટલાક પક્ષીઓના અવાજ આવી રહ્યા છે અને તેમણે અમારી ગાડીના વિન્ડશિલ્ડ પર અમને ગિફ્ટ આપી છે. મારી સાથે મારો ચાંદની ચોકનો ડ્રાઇવર (અક્ષય કુમાર) છે અમે હોસ્પિટલથી ઘરે જઇ રહ્યા છીએ. ના, મને કોરોના વાયરસ થયો નથી, મારો પગ તૂટી ગયો છે એટલા માટે હોસ્પિટલ ગયા હતા.''
જોકે હોસ્પિટલ લઇ જવાની વાતને ટ્વિંકલે વીડિયોમાં સ્પષ્ટ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યુ હતુ કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.