રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ચોથી ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજ્યમાં દરેક સિનેમા હોલ ફરીથી ખોલવાની જાહેરાત થયા બાદ આ મોટી ફિલ્મ છે, જે થિયેટરમાં રિલીઝ થઇ રહી છે.
ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બરે થશે રિલીઝ
ફિલ્મના એડવાન્સ બુકિંગને પણ મળી રહ્યો છે સારો રિસ્પોન્સ
પ્રથમ દિવસે બોક્સ ઓફિસમાં 20 કરોડ સુધીની કરી શકે છે કમાણી
લોકો ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સાહિત
અક્ષય કુમારની આ ફિલ્મથી દર્શકોને ઘણી આશા છે. એટલું જ નહીં, ફિલ્મના એડવાન્સ બુકિંગને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે 5 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થઇ રહી છે. તો બધા જાણવા માંગે છે કે ફિલ્મ પહેલાં દિવસે કેટલા કરોડની કમાણી કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ અક્ષય રાઠીએ કહ્યું, ફિલ્મ પ્રથમ દિવસે બોક્સ ઓફિસમાં 20 કરોડ સુધીની કમાણી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું, આખા દેશમાં લોકો ફેસ્ટિવલ મૂડમાં છે અને કોરોનાને કારણે લોકો છેલ્લાં ઘણાં સમયથી ઘરમાં બંધ છે. તેથી હવે થિયેટરમાં ફિલ્મ પાછી રિલીઝ થઇ રહી છે તો ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સાહિત છે.
ટ્રેડ એનાલિસ્ટે શું કહ્યુ ?
ફિલ્મ પ્રોડ્યુસર અને ટ્રેડ એનાલિસ્ટ ગિરીષ જોહરે કહ્યું કે અમે પોતે દિવાળીના ખાસ પ્રસંગે રિલિઝ થઇ રહેલી આ મોટી ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છીએ. તેમણે કહ્યું કે તેઓ ખુશ છે આ જોઈને કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો ફિલ્મને લઇને વાત કરી રહ્યાં છે. બધા પોતપોતાનો સપોર્ટ આપી રહ્યાં છે. ફિલ્મના પ્રમોશન પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મને આશા છે કે તેની શરૂઆત સારી રહેશે. આમ, દિલ્હી અને ગુજરાતમાં 100 ટકાની ક્ષમતા સાથે થિયેટર્સ ખોલ્યાં છે, પરંતુ હજી પણ અમુક રાજ્યોમાં 50,60 અને 70 ટકાની ક્ષમતા સાથે થિયેટર્સ ખુલ્યાં છે.
15-18 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે ફિલ્મ
કાસ્ટિંગ ડાયરેક્ટર કુણાલ એમ શાહે કહ્યું કે દિવાળીના શુભ અવસરે રિલીઝ કરવા માટે સૂર્યવંશી એક સારી ફિલ્મ છે. થિયેટર્સ પણ દર્શકોની વાપસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જો ફિલ્મ કોવિડ દરમ્યાન રિલીઝ ના થઈ હોત તો તેનું ગ્રાન્ડ ઓપનિંગ થયુ હોત. પરંતુ હવે કોવિડ દરમ્યાન ફિલ્મ રિલીઝ થઇ રહી છે તો મને લાગે છે કે સૂર્યવંશી પ્રથમ દિવસે 15-18 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.