સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઇ પ્રતીક યાદવના પત્ની અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગરમાવો
અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા
અખિલેશે કહ્યું ખુબ શુભેચ્છા
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. સમાજવાદી પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા છે. અપર્ણા યાદવ મુલાયમસિંહના દીકરા પ્રતિક યાદવના પત્ની છે. તેઓ 2017માં લખનઉ કેન્ટ બેઠક પર ચૂંટણી હાર્યા હતા. ત્યારે હવે તેમના ભાજપમાં જોડાવાને લઇને અખિલેશ યાદવનું નિવેદન આવ્યું છે.
અપર્ણા યાદવના ભાજપમાં જોડાવા પર અખિલેશ યાદવે કહ્યું કે, અપર્ણા યાદવને નેતાજી(મુલાયમ સિંહ યાદવ)એ ખુબ સમજાવ્યા હતા. પરંતુ તેઓ ન માન્યા. તેમણે અપર્ણાને ભાજપમાં જોડાવાની શુભેચ્છા આપી.
અખિલેશ યાદવે કહ્યું કે, અમને ખુશી એ વાતની છે કે સમાજવાદી વિચારધારાનો વિસ્તાર થઇ રહ્યો છે. મને આશા છે કે અમારી વિચારધારા ત્યાં પણ પહોંચશે તો બંધારણ અને લોકશાહી બચાવવાનું કામ થશે.
હજુ તો ઘણી બધી બેઠકો પર ઉમેદવારો નક્કી નથી થયાઃ અખિલેશ
અપર્ણાની ટિકિટ કાપવાના સવાલ પર અખિલેશે કહ્યું કે, હજુ તો ઘણી બધી બેઠકો પર ઉમેદવારો નક્કી નથી થયા. ટિકિટ કેવી રીતે મળે છે અને કોને નહીં મળે, આ વિસ્તાર અને જનતા પર નિર્ભર કરે છે અને અમારી ઇન્ટર્નલ સર્વે રિપોર્ટ પર પણ નિર્ભર કરે છે.
SP પ્રમુખ અખિલેશ યાદવ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે
શું અખિલેશ યાદવ વિધાનસભા ચૂંટણી લડશે? આ સવાલ પર તેઓ બોલ્યા કે હું આઝમગઢની જનતાની મંજુરીથી ચૂંટણી લડીશ. એવું એટલા માટે કારણ કે ત્યાંના લોકોએ અમને જિતાડ્યા હતા. જણાવી દઇએ કે અખિલેશ આઝમગઢથી સાંસદ છે. અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી લડી શકે છે. અગાઉ અખિલેશે મીડિયા સમક્ષ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. અખિલેશ ચૂંટણી લડશે તે અંગે SP તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જોકે બુધવારે જ તેમની વિધાનસભા ચૂંટણી લડવાની ચર્ચા સામે આવી હતી.