9 ડિસેમ્બરના રોજ અમદાવાદના અખબારનગર અંડર પાસેની દિવાલમાં BRTS બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના આગળના ભાગના બે ભાગ થઇ ગયા હતા. આ અકસ્માત સમયે ડ્રાઇવર અને સુપરવાઇઝર જ બસમાં હતા, જેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે આ BRSTના અકસ્માત મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.
અખબારનગર અન્ડર બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત મામલો
કોની બેદરકારીથી સર્જાયો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો
ચાર્ટર્ડ સ્પીડ કંપનીને નોટીસ ફટકારવામાં આવી
અમદાવાદમાં અખબારનગર અંડરબ્રિજમાં રૂટ નંબર 15ની ઇસ્કોનથી RTO રૂટની BRTS બસ ધડાકાભેર બ્રિજના પીલરમાં ઘુસી જતા બસના બે ફાડિયા થઇ ગયા હતા. આ અકસ્માત સર્જાયેલ બસને ક્રેનથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ આ અકસ્માત કોની બેદરકારીથી સર્જાયો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો. આ અંગે B ટ્રાફિક પોલીસ સ્ટેશન વધુ તપાસ કરી રહી છે. તેવામાં હવે આ બસ કોન્ટ્રાક્ટર ચાર્ટડ સ્પીડની હતી. આ અકસ્માત અંગે હવે ચાર્ટર્ડ સ્પીડ કંપનીને નોટીસ આપવામાં આવી છે. સાથે રૂપિયા 1 લાખ સુધીનો દંડ પણ વસુલવામાં આવશે.
અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં, ડ્રાઇવર-સુપરવાઇઝરને ઇજા
આ વિચિત્ર અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. જોકે ડ્રાઇવર રમેશ મકવાણા અને સુપરવાઇઝર ચરણભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રમેશભાઈના જમણા પગે ફ્રેકચર થયું હતું, તો ઉપરાંત કપાસ અને આંકની નીચે ઈજા થતા 6 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ચરણભાઈની કમરમાં ફ્રેકચર થયું હતું. અકસ્માત પહેલા બસમાં બેઠેલા 4 પેસેન્જર પ્રગતિનગર ઉતરી ગયા હતા.
ડ્રાઈવરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હતોઃ ટ્રાફિક પોલીસ
ટ્રાફિકના B ડીવીઝનના ઈન્ચાર્જ પી.આઈ.એફ.એમ.નાયબે જણાવ્યું હતું કે સ્ટિયરિંગ લોક થયું ન હતું પરંતુ ડ્રાઈવરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હતો. અમે કંડ્કટર ચરણ ગેહલોતની ફરિયાદને આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.