મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર રચાયાના ઘટનાક્રમ પર એનસીપીના નેતા અજિત પવારે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનપદે શપથ લેનાર અજિત પવારે જણાવ્યું છે કે મહારાષ્ટ્રને સ્થિર અને સ્થાયી સરકાર આપવા માટે આ નિર્ણય લીધો છે અને મેં એનસીપીના વડા શરદ પવારને પહેલાંથી જ આ અંગે બધી વાત કરી દીધી હતી.
અજિત પવારે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ પક્ષ મળીને સ્થિર સરકાર રચી શકે નહીં. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે છેલ્લા એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ કોઇ નક્કર પરિણામ આવ્યું નહોતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર એનસીપી વિધાનસભા પક્ષના નેતા છે. અજિત પવારે વિધાનસભા પક્ષના નેતા તરીકે ફડણવીસ સરકારને સમર્થન આપ્યું છે અને તેનો અર્થ એ થયો કે અિજત પવારના સમર્થનને એનસીપીનું સમર્થન માનવામાં આવશે.
દરમિયાન કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઇના વડા રામદાસ અઠાવલેએ જણાવ્યું છે કે મને લાગે છે કે એ પહેલાંથી જ નક્કી હતું કે અમારો પક્ષ, ભાજપ અને એનસીપીની સરકાર બનવી જોઇએ. બધાંને વિશ્વાસ હતો કે એનસીપી ભાજપ સાથે જ જશે. બીજેપી ને શિવસેના કો લટકા દિયા હૈ, કોંગ્રેસ ને ફટકા દિયા હૈ, ઔર એનસીપી ને અટકા દિયા હૈ.
અઠાવલેએ જણાવ્યું હતું કે ભાજપે શિવસેનાને સબક શિખવાડ્યો છે. મોદી સાથેેની શરદ પવારની બેઠકમાં વાતચીત દ્વારા ઉકેલ આવ્યો હતો. અઠાવલેએ જણાવ્યું હતું કે હવે કેન્દ્રમાં એનસીપીને પ્રધાનપદ મળી શકે છે અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેને કેન્દ્રમાં પ્રધાનપદ મળી શકે છે.
દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું છે કે મતદારોએ ભાજપ-શિવસેના ગઠબંધનને ૧૬૧ ધારાસભ્ય સાથે જનાદેશ આપ્યો હતો, પરંતુ શિવસેનાએ આ જનાદેશને દગો કર્યો હતો. હવે સંજય રાઉતે ચૂપ રહેવું જોઇએ. તેમણે જ શિવસેનાને બરબાદ કરી નાખી છે.
દરમિયાન ભાજપના નેતા ગિરીશ મહાજને જણાવ્યું છે કે અિજત પવારે કોઇ ભ્રષ્ટાચાર આચર્યો નથી અને ન તો તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઇ પુરાવા છે. સંજય રાઉતને શાબ્દિક ડાયરિયા થઇ ગયો છે. ગિરીશ મહાજને વધુમાં જણાવ્યું હતું કે અમે ૧૭૦થી વધુ ધારાસભ્યના સમર્થન સાથે અમારી બહુમતી સાબિત કરીશું. અજિત પવારે પોતાના ધારાસભ્યના સમર્થન અંગે રાજ્યપાલને એક પત્ર પણ આપ્યો છે. તેઓ એનસીપી વિધાનસભા પક્ષના નેતા છે અને તેનો અર્થ એ થાય છે કે એનસીપીના તમામ ધારાસભ્યએ અમને સમર્થન આપ્યું છે.