જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ ઉદ્ભવેલી સ્થિતિને પહોંચી વળવા, કાબુમાં રાખવા તથા ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે તૈયાર કરેલો "4M એક્શન પ્લાન" (ચાર સૂત્રીય ફૉર્મ્યુલાવાળી બ્લુ પ્રિન્ટ) કારગર સાબિત થયો છે. આ 4M એક્શન પ્લાનમાં મિલિટન્ટ્સ (આતંકવાદીઓ), મૂવર્સ એન્ડ શેકર્સ (આતંકીઓના ઑવર ગ્રાઉન્ડ વર્કર્સ), મૉબસ્ટર્સ (પથ્થરબાજો) અને મૌલાનાઓ (મઝહબના નામે ઉશ્કેરતા ધાર્મિક નેતાઓ) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ડોભાલના આ એક્શન પ્લાન પર અમલ કરીને તંત્ર અસામાજિક તત્વો પર સકંજો કસવામાં સફળ રહ્યું જ છે, ઉપરાંત સરહદ પાર બેઠેલા આતંકના આકાઓ પણ તેમની રણનીતિમાં સફળ થઈ રહ્યા નથી. આ ફૉર્મ્યુલાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ સંયુક્ત રીતે અભિયાન ચલાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં 11 દિવસ સુધી ધામા નાખીને એનએસએ ડોભાલે રાજ્યની તમામ આંતરિક અને બાહ્ય સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યાંની રજેરજની માહિતી મેળવ્યા બાદ આ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને સરહદ પાર બેઠેલા આતંકી વડાઓ જમ્મુ-કાશ્મીર સહિત દેશના મોટા શહેરોમાં આતંકી હુમલા કરવાના ષડ્યંત્ર રચી રહ્યા છે. લગભગ 250 આતંકીઓ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (એલઓસી) નજીક આવેલા લૉન્ચિંગ પેડ પર ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે. તેમની આ યોજનાને નિષ્ફળ બનાવીને તેમના પ્લાનની હવા કાઢી નાખવામાં આવી છે. નેપાળ અને બાંગ્લાદેશના રસ્તે આવતા તમામ લોકોનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
મૂવર્સ એન્ડ શેકર્સ - ઑવર ગ્રાઉન્ડ વર્કર્સને શોધવાનો કપરો પડકાર
આતંકીઓ માટે આંખ, નાક, કાનનું કામ કરી રહેલા ઑવર ગ્રાઉન્ડ વર્કર્સ સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર બની ગયા છે. આ લોકો લોકોના ટોળામાં ભળીને રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનો અને હિંસા ભડકાવતા રહે છે અને આતંકીઓ માટે સલામત ઠેકાણાં, પૈસાની વ્યવસ્થા ઉપરાંત ટાર્ગેટની ઓળખવિધિ પણ કરતા હોય છે. સમગ્ર કાશ્મીર ઘાટીમાં હાલ અંદાજે છ હજાર ઑવર ગ્રાઉન્ડ વર્કર્સ સક્રિય છે. હવે તેમને અલગ તારવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મૉબસ્ટર્સ - પથ્થરબાજો સામે કડક કાર્યવાહી
સુનિયોજિત ષડ્યંત્ર રચીને પથ્થરબાજી અને દેશવિરોધી પ્રદર્શનોનું સંચાલન કરનારા અને પથ્થરમારામાં ભાગ લેનારા લોકો પર અંકુશ લગાવવા માટે અલગથી રણનીતિ ઘડવામાં આવી છે. તમામ જૂના અને ધંધાદારી પત્થરબાજોની એક યાદી તૈયાર કરીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પહેલી વખત પકડાયેલા 16 વર્ષની ઉંમર સુધીના કિશોરને 20 પરિવારજનો દ્વારા જામીનના બૉન્ડ ભર્યા બાદ જ છોડવામાં આવશે. બીજી વખત પકડાય ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મૌલાના- મઝહબના નામે ઉશ્કેરતા લોકો પર બાજનજર
કાશ્મીરમાં આતંકવાદ અને અલગવાવવાદની આગ ભડકાવવામાં કેટલાક ધાર્મિક નેતાઓ, ઉલેમા અને મૌલાનાઓની મોટી ભૂમિકા રહી છે. આ લોકો ધાર્મિક મંચનો ઉપયોગ કરીને જેહાદી અને ધાર્મિક ભાવનાને ઉશ્કેરીને હિંસા ભડકાવે છે. આથી હવે આ કટ્ટરવાદી મૌલાનાઓની પણ તબક્કાવાર ધરપકડ કરવામાં આવી રહી છે. યુવાનોને ઈસ્લામના નામે ગેરમાર્ગે દોરતાં મૌલવીઓ-મૌલાનાઓને પહેલી વખત ચેતવણી આપી છોડવામાં આવશે, પણ ફરીથી પકડાય તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.