ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે સીરીઝની પહેલી ટેસ્ટ વેલિંગટનમાં રમાશે. ટેસ્ટ મેચ પહેલાં ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ઋષભ પંત પર મહત્વનું નિવેદન આપ્યું છે. રહાણેના નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ફરી એકવાર ઋષભ પંત ચર્ચાનો વિષય બની ગયા છે.
પંતના ટીમમાં સામેલ ન થવા પર રહાણેનું નિવેદન
ક્રિકેટર તરીકે પોતાનામાં સુધારા કરતા રહેવાની આપી સલાહ
કોઈ પણ ખેલાડીને બહાર બેસવું ન ગમે : રહાણે
22 વર્ષનાં ઋષભ પંત થોડા સમય પહેલાં વન ડેથી લઇ ટેસ્ટ સુધી વિકેટકિપર માટે પહેલી પસંદ હતા. પરંતુ સતત ખરાબ બેટિંગનાં કારણે તેમણે પોતાની જગ્યા જ ગુમાવી દીધી. અત્યારે પંતની જગ્યાએ કે એલ રાહુલ વિકેટકિપર છે જયારે ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહા વિકેટકિપીંગ કરે છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ પહેલાં રહાણેએ આ મહત્વનું નિવેદન આપ્યું છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનાં વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે વિકેટકિપર ઋષભ પંતે સ્વીકાર કારવ્યું પડશે કે તે ખરાબ સમયથી પસાર થઇ રહ્યા છે. તેમણે વધુ એક ક્રિકેટર તરીકે વધુ સારું પ્રદર્શન કરવા માટે મહેનત કરવી જોઈએ.
રહાણેએ આપ્યું મોટું નિવેદન
રહાણેએ કહ્યું કે 'આ સ્વીકાર કરવું જરૂરી છે કે તમે ક્યાં ઉભા છો. હકારાત્મક રહીને વધુ ને વધુ શીખવાની જરૂર છે. વાત સિનિયર કે જુનિયરની નથી. કોઈને પણ બહાર બેસવું ન ગમે પરંતુ તે સ્વીકાર કરવું જ પડશે કે ટીમને આ દિવસની જરૂર જ કેમ પડી, દરેક ખેલાડીએ આ સ્થિતિનો સ્વીકાર કરવું જોઈએ. ક્રિકેટર તરીકે મહેનત કરવી પડશે.'
પહેલાં પણ પંત પર થઇ ચુક્યો છે વિવાદ
પંતને એક સમયમાં ભારતના ભવિષ્યનાં શ્રેષ્ઠ પ્લેયર માનવામાં આવતા હતા. પરંતુ તેમના નિરાશાજનક પ્રદર્શનનાં લીધે મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ. જે બાદથી ઋષભ પંતને ટીમની બહાર બેસવું પડ્યું હતું. ઋષભ પંતને ટીમમાં સામેલ ન કરવા મુદ્દે ઘણીવાર લોકોએ સવાલો ઉઠાવ્યા છે અને વિવાદો પણ થયા છે ત્યારે રહાણેના આ નિવેદનથી ખળભળાટ થાય તે નક્કી છે.