લોકસભામાં સાયબર ક્રાઈમનાં પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રી અજય કુમારે લિખિતમાં ઉત્તર આપતાં કહ્યું કે 31 જાન્યુઆરી 2023 સુધીમાં 1.90 લાખથી વધુ ફરિયાદોમાં 235 કરોડથી વધુ રૂપિયાને બચાવવામાં આવ્યાં છે.
લોકસભામાં સાયબર ક્રાઈમનો ઊઠાવાયો પ્રશ્ન
ગૃહ રાજ્યમંત્રી અજય કુમારે લિખિતમાં આપ્યો ઉત્તર
કહ્યું પોર્ટલ પર સાયબર ફ્રોડની 1.90 લાખથી વધુ ફરિયાદો
દેશભરમાં આજે સાયબર ક્રાઈમનાં કેસો વધી દરરોજ સામે આવી રહ્યાં છે. ત્યારે સરકાર પણ આ ક્રાઈમ વિરોધી પગલાંઓ ભરી રહી છે. ગૃહમંત્રાલયે વર્ષ 2021માં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવા માટે એક પોર્ટલ શરૂ કર્યું હતું જેનાં પર 31 જાન્યુઆરી સુધી 7 લાખથી વધુ સાયબર ક્રાઈમની ફરિયાદો જોવા મળી છે. જેમાંથી આશરે 1.90 લાખથી વધુની ફરિયાદોમાં 235 કરોડથી વધારેની રકમ બચાવી શકાઈ છે.
52000થી વધારે ફરિયાદોનું નિરાકરણ
વધી રહેલા સાયબર ફ્રોડ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગૃહમંત્રાલયે જાણકારી આપી હતી. 'સાયબર ફ્રોડ'નાં પ્રશ્નનો ઉત્તર આપતાં ગૃહરાજ્યમંત્રી અજય કુમારે આજે લિખિતમાં કહ્યું કે સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સુવિધા શરૂ થયા બાદથી 31 જાન્યુઆરી 2023 સુધીમાં ઓડિશા સહિત વિવિધ રાજ્યોથી 7 લાખથી વધારે ફરિયાદો નોંધાઈ છે. અત્યાર સુધી 1.90 લાખથી વધારે ફરિયાદોમાં 235 કરોડ રૂપિયાથી વધુની રકમ બચાવી લેવાઈ છે તો 52000થી વધારે ફરિયાદોનું નિરાકરણ પણ કરી દેવામાં આવ્યું છે.
ભારતનાં બંધારણનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે ભારતનાં બંધારણ અનુસાર 'પોલીસ' અને 'લોક વ્યવસ્થા' રાજ્યનો વિષય છે. તેમણે કહ્યું કે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ પોતાની એજન્સીઓ LEAનાં માધ્યમથી સાયબર અપરાધો સહિત અન્ય અપરાધોને રોકવું, શોધવું, તપાસ કરવું અને પ્રોસિક્યુશન માટે મુખ્યરૂપે જવાબદાર છે.