ટી સીરિઝ અને નિર્માતા લવ રંજન-અંકુર ગર્ગના લવ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ડિરેક્શન અકિવ અલીએ કર્યું છે. ફિલ્મમાં આધેડ વયના ડિવોર્સી અને તેનાથી લગભગ અડધી ઉંમરની યુવતી સાથેના પ્રેમસંબંધની વાત દર્શાવાઈ છે.
આશિષ મહેરા (અજય દેવગણ) પ૦ વર્ષનો છે અને તેણે તેની પત્ની મંજના રાવ ઉર્ફે મંજુ (તબ્બુ)ને ડિવોર્સ આપી દીધા છે. આશિષની મુલાકાત એક દિવસ તેનાથી અડધી ઉંમરની અને નખરાળી આયેશા ખુરાના (રકુલ પ્રીત સિંહ) સાથે થાય છે. ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને લગ્ન કરવાનો નિર્ણય કરે છે. અજયનો ખાસ દોસ્ત રાજેશ (જાવેદ જાફરી) તેને દીકરીની ઉંમરની આયેશા સાથે આગળ ન વધવા અને તેનાથી દૂર જ રહેવાની સલાહ આપે છે પણ આશિષ તેની વાત માનવા તૈયાર થતો નથી. આશિષ આયેશાને લઈ તેની ભૂતપૂર્વ પત્ની અને પુત્રી તથા પુત્રને મળવા જાય છે. છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પણ આશિષ અને મંજુ વચ્ચે હજુ પણ એવું કંઈક છે, જે બંનેને જોડી રાખે છે. આશિષનો ખૂબ જ વિચિત્ર લાગતો પરિવાર હવે એક થઈને તેને આયેશાથી દૂર કરવાનું નક્કી કરે છે. આ દરમિયાન અનેક ગોટાળા સર્જાય છે.
સેન્સર બોર્ડે આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવા ઉપરાંત ફિલ્મમાં ત્રણ ફેરફાર પણ સૂચવ્યા છે. ફિલ્મના ગીત ‘વડ્ડી શરાબન’માં રકુલ પ્રીતના હાથમાંથી વ્હિસ્કીની બોટલ હટાવીને ફૂલનો ગુલદસ્તો મૂકવા જણાવાયું છે. સેન્સર બોર્ડે ફિલ્મના બે દૃશ્યના સંવાદ પર પણ કાતર ફેરવી છે.
‘મીટુ’ કેમ્પેનના કારણે વિવાદોમાં ફસાયેલા અને લોકોના રોષનો ભોગ બનેલા અભિનેતા આલોકનાથ આ ફિલ્મમાં અજય દેવગણના પિતાનો રોલ કરી રહ્યા છે. આલોકનાથ આ ફિલ્મમાં હોવાથી ઘણી સંસ્થાઓએ તેનો વિરોધ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અજય દેવગનની દિલ તો બચ્ચા હૈ ફિલ્મ આવી હતી. જેમાં પણ તે પોતાનાથી નાની વયની યુવતી સાથે વન સાઈડ પ્રેમમાં પડે છે તેવું બતાવવામાં આવ્યું હતું. હવે ફરી એક વખત આ જ સ્ટોરી સાથે અજય 'દે દે પ્યાર દે'માં દેખાશે.