આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાસેથી અનેક અગ્રણીએ ટિકિટની માગ કરી રહ્યા છે. ત્યારે હવે મહેસાણામાં એ.જે. પટેલે કોંગ્રેસ પાસેથી ટિકિટની માગ કરી છે. આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે એ.જે.પટેલે કોંગ્રેસ પાસેથી ટિકિટ માગી છે.
આશાબેન ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ માટે મહેસાણામાં ઉમેદવાર કોને બનાવવા તે એક સવાલ ઉભો થયો છે. ત્યારે ઉમિયા સસ્થાન ઊંઝા સાથે સંકળાયેલા એ.જે. પટેલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર બનવા માટે તૈયારી દર્શાવતા નવું રાજકીય સમીકરણ રચાયું છે.
મહત્વનુ છે કે એ.જે. પટેલ ઊંઝા ઉમિયા ધામ શિક્ષણ નિધીના ટ્રસ્ટી છે. સાથે જ તેઓ મહેસાણાના સૌથી મોટા 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ પણ છે. એ.જે.પટેલનો કડવા પાટીદાર સમાજમાં દબદબો રહ્યો છે. આ પહેલા એ.જે. પટેલ અપક્ષ તરફથી ચાણસ્મા વિધાનસભા પર ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે હવે તેમણે આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ તરફથી લડવાનુ નક્કી કર્યુ છે.
ત્યારે હવે એ જે પટેલે ટિકિટ માટે દાવેદારી નોંધાવતા કોંગ્રેસ માટે મહેસાણામાં નવી આશા જાગી છે. જો કે મહેસાણામાં કુલ 36 લોકોએ કોંગ્રેસના ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.