ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમના 47-47 લાખ ગ્રાહકો મે મહિનામાં ગુમાવી દીધા છે જયારે Jioએ 37 લાખ નવા ગ્રાહકો મેળવ્યા છે.
આ માહિતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી બોર્ડ TRAI દ્વારા બહાર પાડવામાં આવી છે. TRAIના ડેટા પ્રમાણ કુલ વાયરલેસ સબ્સ્ક્રિબશન્સમાં 56 લાખનો મોટો કડાકો નોંધાયો હતો. શહેરી વિસ્તારોમાં વાયરલેસ યુઝર્સની સંખ્યા એપ્રિલમાં 62 કરોડ 90 લાખથી ઘટીને 31 મે સુધી 62 કરોડ થઇ ગઈ હતી.
બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં આ સંખ્યા 52 કરોડથી વધીને 52 કરોડ 30 લાખ થઇ હતી. નિષ્ણાતોના મતે આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કોરોનાના લોકડાઉનને કારણે મોટા પ્રમાણમાં શહેરની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં પછી વળી હતી અને શહેરમાં ઘણા બધા મલ્ટીસિમ યુઝર્સે ધંધા ઉદ્યોગો ઠપ્પ થઇ જતા તેમના કાર્ડ્સ બંધ કરાવી દીધા હતા.
આ સાથે Jio ઉપરાંત સરકારી કંપની BSNLના ગ્રાહકોમાં પણ 2 લાખ સબ્સક્રાઈબરનો વધારો થયો હતો. આ ઉપરાંત મે મહિનામાં 29 લાખ લોકોએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે રિકવેસ્ટ કરી હતી. આમ પોર્ટેબિલિટીનો કુલ આંકડો 49 કરોડ 12 લાખ ઉપર પહોંચ્યો છે.
નોંધનીય છે કે આ લોકડાઉનમાં ડેટા યુઝમાં ધરખમ વધારો થયો છે. આ વધારામાં દેશમાં હજુ પણ કનેક્ટિવિટી અને સર્વિસની કેટલી સમસ્યાઓ છે તે છતી થઇ ગઈ હતી.