દેશમાં ટેલિકોમ કંપનીઓના કુદકે અને ભૂસકે વધતા ભાવો હવે લોકોને જાણે કોઠે પડી ગયા છે. એવામાં ભારતી એરટેલે પ્રીપેડ વપરાશકર્તાઓ માટે મિનિમમ માસિક રિચાર્જના દરો આ રવિવારથી રૂપિયા 35ના ટેરિફથી વધારીને રૂપિયા 45 કરી દીધા છે.
દરેક એરટેલ વપરાશકર્તા પાસેથી નેટવર્ક ચાલુ રાખવા મહિને હવે 10 રૂપિયા વધુ વસૂલાશે
ટેલિકોમ ક્ષેત્રના સૌથી નીચા પિરામિડના ગ્રાહકોને થશે સૌથી વધુ અસર
આનો મતલબ એવો છે કે દરેક એરટેલ વપરાશકર્તા પાસેથી નેટવર્ક ચાલુ રાખવા મહિને હવે 10 રૂપિયા વધુ વસૂલાશે. એરટેલે રવિવારે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે સેવાઓ ચાલુ રાખવા દર 28 દિવસે 45 રૂપિયાનું વાઉચર તો લેવું જ પડશે.
ચુકવણી ન કરાતાં શું પગલા લેવાશે?
જો 45 રૂપિયા કે તેથી વધુના વાઉચરની ચુકવણી નિયત સમયમાં ન કરવામાં આવી તો એરટેલ તે ગ્રાહકોને મર્યાદિત સર્વિસ આપશે. આ મર્યાદિત સર્વિસનો સમય 15 દિવસનો હશે. જો 15 દિવસ પછી પણ ગ્રાહકે પેમેન્ટ ન કર્યું તો તમામ સેવાઓ તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવશે.
હજુ હમણાં જ વધ્યા છે 40% ટેરિફ
અહીં એ પણ નોંધનીય છે કે એરટેલ અને વોડાફોને ગયા મહિને તેમના ટેરિફમાં 40%નો તોતિંગ વધારો ઝીંક્યો છે. જો આ વધારાથી ટેલિકોમ ક્ષેત્રના સૌથી નીચા પિરામિડના ગ્રાહકોને સૌથી વધુ અસર થશે તેમ જણાઈ રહ્યું છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એરટેલે જાહેરાત કરી હતી કે તેઓ મિનિમમ ટેરિફ પ્લાન 35 રૂપિયા રાખવા જઈ રહ્યા છે. આ ભાવ વડે તેમનો ટાર્ગેટ ગ્રાહકોને સારી સેવા આપવાનો અને બીજા ખર્ચાઓને પહોંચી વળવાનો હતો.