ટેલિકોમ વિભાગે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ જેવી કંપનીઓને ગઇ કાલે મધરાત સુધીમાં જ એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ પેટે બાકી નીકળતા કરોડો રૂપિયાની ચુકવણીનો આદેશ કરતાં ટેલિકોમ કંપનીઓ પર આફત આવી પડી છે. ટેલિકોમ નિષ્ણાતોનું માનવું છે કે એજીઆરનું પેમેન્ટ કરવા મોબાઇલ કંપનીઓ ૨૫ ટકા સુધી તેમના ટેરિફમાં ખાસ કરીને રિચાર્જ ટેરિફમાં વધારો કરી શકે છે.
ટેલિકોમ કંપનીઓ મોબાઈલ ટેરિફમાં ૨૫ ટકા સુધી ફરી વધારો કરી શકે છે
વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓને તાળાં લાગી જશેઃ બેન્કની બેડ લોન વધશે
જો આવું થશે તો બે મહિનામાં બીજી વખત મોબાઇલ ટેરિફમાં વધારો થશે. જો ટેલિકોમ કંપનીઓ ટેરિફ વાઉચરમાં ૧૦ ટકાનો પણ વધારો કરશે તો તેને આગામી ત્રણ વર્ષમાં રૂ.૩૫ હજાર કરોડનું મહેસૂલ પ્રાપ્ત થવાનું અનુમાન છે. એક્યૂટ રેટિંગ એન્ડ રિસર્ચે અનુમાન કર્યું છે કે કંપનીઓ પોતાના પેમેન્ટનો બોજ ગ્રાહકો પર નાખી શકે અને હવે ટૂંક સમયમાં મોબાઇલ ટેરિફમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થઇ શકે છે.
વોડાફોન-આઇડિયા જેવી કંપનીની હાલત થઇ વધુ કફોડી
અહેવાલો અનુસાર અગાઉ કોર્ટ અને હવે ટેલિકોમના આદેશ બાદ વોડાફોન-આઇડિયા જેવી કંપનીની હાલત વધુ કફોડી થઇ ગઇ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર વોડાફોન-આઇડિયા જેવી કંપનીને તાળાં લાગી જાય તો નવાઇ નહીં.
બેન્કોની બેડ લોનમાં જંગી વધારો થવાની સંભાવના
બેન્કરોએ પણ દહેશત વ્યક્ત કરી છે કે વોડાફોન-આઇડિયા કંપની બંધ થઇ જશે તો બેન્કોની બેડ લોનમાં જંગી વધારો થશે. વોડાફોન-આઇડિયાને આપવામાં આવેલ રૂ. ૩૦ હજાર કરોડની લોનની વસૂલાત સામે પણ સવાલો ઊભા થશે, કારણ કે વોડાફોન-આઇડિયાને સુપ્રીમના આદેશ મુજબ બાકી નીકળતા એજીઆર પેટે ટેલિકોમ વિભાગને રૂ. ૫૩ હજાર કરોડ ચૂકવવાના થાય છે. આમ, સુપ્રીમ કોર્ટ અને ટેલિકોમ વિભાગ દ્વારા એજીઆરના જંગી પેમેન્ટના દબાણમાં હવે ટેલિકોમ કંપનીઓ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે.