વિમાન મંત્રાલયે વિમાન કંપનીઓને માટે હવે નવા આદેશ જાહેર કર્યા છે. આ આદેશમાં કહેવાયું છે કે હવે એવા યાત્રીઓને પ્રવાસ કરવા દેવાશે જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં જણાવે છે કે યાત્રાની તારીખથી પહેલાંના 3 અઠવાડિયામાં તેઓ કોરોના પોઝિટિવ રહ્યા નથી. અધિકારીઓએ જાણકારી આપતાં કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. તેમની મુશ્કેલીઓને ઘટાડવા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને અપડેટ કરવાની જરૂર પડી છે. આ પહેલાં સરકારે એરલાઈન્સ કંપનીઓને કહ્યું હતું કે યાત્રીઓએ પોતે જ જણાવવાનું રહેશે કે યાત્રાની તારીખ પહેલાંના 3 અઠવાડિયામાં તેઓ કોરોના પોઝિટિવ રહ્યા નથી.
અગાઉ સરકારે 21 મેના રોજ જણાવ્યું હતું કે દરેક યાત્રીઓએ યાત્રા પહેલાં જણાવવાનું રહેશે કે તેઓ યાત્રાના 2 મહિના પહેલાં સુધી કોરોના નેગેટિવ રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે જે લોકો કોરોનાથી સાજા થયા છે અને ત્રણ અઠવાડિયા સુધી તેઓમાં કોઈ લક્ષણો પણ જોવા મળ્યા નથી તે હોસ્પિટલથી મળતા કોવિડ રિકવરી કે કોવિડ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ બતાવીને પણ યાત્રા કરી શકે છે.
ભારતમાં અત્યાર સુધી 8.49 લાખ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 5.15 લાખ લોકો સાજા થયા છે. એટલે કે દેશનો રિકવરી રેટ 63 ટકાએ પહોંચ્યો છે. આ વાયરસમાં અત્યાર સુધીમાં 22000 લોકો મોતને ભેટ્યા છે. કોરોનાની મહામારીના કારણે 2 મહિના બાદ ભારતે 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરી હતી પરંતુ આંતરરાષ્ટ્રિય સેવાઓ હજુ પણ શરૂ કરવામાં આવી નથી.