નાણાકીય સંકટથી પસાર થઇ રહેલી એર ઇન્ડિયાને સરકારે વેચવાની તૈયારી કરી લીધી છે. આ મામલામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકાર એર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાત કહી.
સંસદમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી જાણકારી
સરકાર તેને બંધ કરવાનો કરી રહી છે વિચાર
એર ઇન્ડિયા પર હાલ લગભગ 60,000 કરોડ રૂપિયાનું દેવું
હરદીપ પુરીએ આ પહેલા રાજ્યસભામાં કહી ચૂક્યા છે કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ ન થવાની સ્થિતિમાં તેને બંધ કરવી પડશે. જોકે, તેઓએ કહ્યું કે, તમામ કર્મચારીઓ માટે એક યોગ્ય ડીલ નક્કી કરાશે. પુરીએ કહ્યું, હું એ હદે જઇશ અને આ કહીશ. ત્યારબાદ પુરીએ કહ્યું કે ખાનગીકરણ ન થવાની સ્થિતિમાં એર લાઇનને બંધ કરી દેવામાં આવશે.
સરકાર આ સરકારી કંપનીમાંથી પોતાની ભાગીદારી વેચવા માટે હરાજી દસ્તાવેજ તૈયાર કરી રહી છે. અને વિનિવેશ પ્રક્રિયાને પૂર્ણ કરવાની સમય મર્યાદા 31 માર્ચ નિર્ધારિત કરવામાં આવી છે. પહેલાના પ્રયાસમાં મોદી સરકારે મે 2018માં પોતાની 76 ટકા ભાગીદારી વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ (EOI) આમંત્રિત કર્યો હતો પરંતુ હરાજીના પહેલા ચરણમાં એક પણ ખાનગી પાર્ટીએ રસ ન દાખવ્યો.
નોંધનીય છે કે, એર ઇન્ડિયાને નાણાકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાની જબરદસ્ત ખોટ ઉઠાવવી પડી છે. એર ઇન્ડિયા પર હાલ લગભગ 60,000 કરોડ રૂપિયાનું દેવું છે.