ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ ઓવૈસીએ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર હિંસાને લઇને પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. હૈદરાબાદમાં CAA-NRC અને NPRના વિરોધમાં યોજાયેલી એક બેઠકમાં ઓવૈસીએ કહ્યું કે 'અમે વડાપ્રધાનને બતાવવા માંગીએ છીએ કે તમે જે સાપ પાળ્યો છે એ તમને જ કરડી જશે.'
ઓવૈસીએ દિલ્હીમાં CAA પર હિંસાને લઇને પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો
એક બેઠકમાં ઓવૈસીએ કહ્યું કે PMએ પાળેલો સાપ તેમને જ કરડી જશે
ઓવૈસીએ ઇશારામાં ભાજપ નેતા કપિલ મિશ્રા પર નિશાન સાધ્યું
ઓવૈસીએ ઇશારામાં ભાજપ નેતા કપિલ મિશ્રા પર નિશાન સાધ્યું. તેઓએ હિંસક ઘટનાઓની નિંદા કરતા કહ્યું, આ હિંસા એક પૂર્વ ધારાસભ્યને કારણે થઇ રહ્યી છે. હવે તેમા પોલીસના સામેલ હોવાના પણ પૂરાવા છે. પૂર્વ ધારાસભ્યની તાત્કાલિક ધરપકડ કરવી જોઇએ અને જલ્દી જ હિંસા રોકવા માટે પગલા ઉઠાવવા જોઇએ. નહીંતર તે વધુ ફેલાશે.
ગૃહ મંત્રી દિલ્હીમાં શાંતિની સ્થાપના કરે
ઓવૈસીએ આ સાથે અમિત શાહને દિલ્હીમાં શાંતિ સ્થાપવા કહ્યું. તેઓએ દિલ્હીની જનતાને અપીલ કરી છે કે તેઓ દિલ્હી પોલીસ પર હિંસા રોકવા માટે દબાણ કરે.
જાફરાબાદ-મૌજપુર હિંસા પાછળ કપિલ મિશ્રા?
ભાજપ નેતા કપિલ મિશ્રાએ રવિવારે મૌજપુરમાં સીએએના સમર્થનમાં ભાષણ આપ્યું હતું. તેઓએ દિલ્હી પોલીસને ખુલ્લે આમ ચેતવણી આપી હતી કે જો સીએએ વિરુદ્ધ પ્રદર્શનકારીઓને રસ્તા પરથી હટાવવામાં નહીં આવે તે લોકો કોઇનું પણ નહીં સાંભળે. નોંધનીય છે કે કપિલ મિશ્રાના ભાષણના અડધા કલાક બાદ જ મૌજપુરમાં ઘર્ષણ શરૂ થઇ ગયું હતું.