જ્ઞાનવાપી મસ્જિદની અંદર મળેલા શિવલિંગ પર કરી હતી વાંધાજનક ટીપ્પણી
વિહિપની ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શિવલિંગ પર અશ્લીલ અને વાંધાજનક ટીપ્પણી કરવાના આરોપસર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ કરી લીધી છે. દાનિશ કુરેશીએ જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગ પર અશ્લીલ અને વાંધાજનક ટીપ્પણી કરતા હિંદુઓમાં આક્રોશ ફેલાયો હતો અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યાં હતા. વિશ્વ હિંદુ પરિષદે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી જે પછી અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાંચે કુરેશીની ધરપકડ કરી લીધી હતી.
શિવલિંગ પર શું ટીપ્પણી કરી હતી દાનિશ કુરેશીએ
IMIMના નેતા દાનિશ કુરેશીએ ગઈ કાલે જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ મુદ્દે અશ્લીલ પોસ્ટ કરી હતી. દાનિશ કુરેશીની આ અશ્લીલ પોસ્ટ બાદ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી અને ભારે રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સમાજ દ્વારા દાનિશ કુરેશી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. સાથે જ એવી માંગ ઉઠી હતી કે, દાનિશ કુરેશની ધરપકડ કરવામાં આવે. આ મામલે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા જયદીપસિંહ વાઘેલાએ દાનિશ કુરેશી વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જયદીપસિંહ વાઘેલાએ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હિન્દુ સમાજના આ રોષ બાદ સાયબર ક્રાઈમે કાર્યવાહી હાથ ધરીને AIMIMના નેતા દાનિશ કુરેશીની આજે અટકાયત કરી હતી. દાનિશ કુરેશની અટકાયત બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યું હોવાનો હિંદુઓનો દાવો
વાસ્તવમાં તાજેતરમાં જ વારાણસીની સેશન્સ કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેના છેલ્લા દિવસે હિન્દુ પક્ષે પરિસરમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આ જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે મુસ્લિમ પક્ષ સતત શિવલિંગ મેળવવાના દાવાને નકારી રહ્યો છે. મુસ્લિમ પક્ષ કહે છે કે એ શિવલિંગ નથી, પણ ફુવારો છે. જે લગભગ દરેક મસ્જિદમાં સ્થાપિત છે. તો બીજી તરફ હિન્દુ પક્ષના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર પણ લાંબી ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઘણા લોકો આ દાવાના સમર્થનમાં પોસ્ટ લખી રહ્યા છે. સાથે જ અનેક લોકો આ દાવાનો વિરોધ કરી રહ્યા છે. જો કે આ દરમિયાન વાંધાજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે.