આ વર્ષે નાણાપ્રધાન અરુણ જેટલી જ ૧ ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણાં મંત્રાલયના ટોચનાં સૂત્રોએ આ અહેવાલને સમર્થન આપ્યું છે.
અરુણ જેટલીની નાદુરસ્ત તબિયત અને અમેરિકામાં તેમના ચાલી રહેલા ઇલાજને લઇને એવી વાતો વહેતી થઇ હતી કે આ વર્ષે નાણાપ્રધાન અરુણ જેટલી નહીં પરંતુ અન્ય કોઇ વચગાળાનું બજેટ રજૂ કરશે જોકે નાણાં મંત્રાલયના ટોચનાં સૂત્રોએ આ અહેવાલને નકારી કાઢ્યો છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે નાણાપ્રધાન અરુણ જેટલી પોતાનું બજેટ ભાષણ વાંચશે પણ ખરા. જેટલી હાલ અમેરિકામાં છે અને ત્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
જેટલીએ ન્યૂયોર્કથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા એક સંમેલનને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચૂંટણી વર્ષનું બજેટ સામાન્યતઃ એક વચગાળાનું બજેટ હોય છે અને તેથી આ પરંપરા મુજબ વચગાળાનું બજેટ રજૂ કરાશે.
દરમિયાન અહેવાલો અનુસાર વચગાળાના બજેટમાં સરકાર કેટલાક મોટા નિર્ણયોની જાહેરાત કરી શકે છે. જેટલીએ સ્વયં જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવે છે. આ ઉપરાંત બજેટમાં ઇકોનોમીની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. સરકાર ફિસ્કલ પ્રૂડેન્સ પર ભાર મૂકશે.
મોદી સરકાર ૨૦૧૯ના વચગાળાના બજેટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સ્માર્ટ ફોન ઇન્ડસ્ટ્રીને પણ રાહતો આપશે એવી અપેક્ષા છે. ૨૦૧૮ના બજેટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટને જીએસટીમાંથી કોઇ રાહત મળી ન હતી તેથી આ વખતે કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત મળવાની અપેક્ષા છે.
નિષ્ણાતોના મત અનુસાર ભારતીય ઇલેક્ટ્રોનિક્સ બજાર ૨૦૧૭થી ૨૦૨૦ સુધી ૪૧ ટકા સીએજીઆરના દરથી વૃદ્ધિ પામશે. તેથી સરકાર તેના પર પણ ધ્યાન આપશે.