દિલ્હીની AIIMSના જે ટિચિંગ બ્લોકમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, તેની પાસે ફાયર NOC નહોતી. આ જાણકારી ફાયર અધિકારીઓએ આપી છે. એ ફાયર નિયમોનું પૂર્ણ રીતે ઉલ્લંઘન છે. આ સિવાય ઇમારત ઘણી જુની પણ હતી.
અધિકારી મુજબ, દર ત્રણ વર્ષમાં ફાયર NOC લેવુ ફરજિયાત છે. આ ઉપરાંત દર વર્ષે ફાયર NOCને સર્ટિફાઇડ કરવામાં આવે છે. જે AIIMSમાં કરવામાં આવી નહોતી. બીજી તરફ આગ લાગવાની ઘટના બાદ દિલ્હીના હૌજખાસ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ IPC 336, 436, 285 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. દિલ્હી પોલીસ તપાસ કરશે કે આગ લાગવા પાછળ કોની બેદરકારી છે?
દેશની રાજધાની દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સિઝ (AIIMS)ના ટિચિંગ બ્લોકમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગને કારણે અને મેડિકલ તપાસની રિપોર્ટનો નાશ થઇ ગયો છે અને કેટલાક દર્દીઓને બહાર કાઢવા પડ્યા હતા. જોકે, આગ લાગવાની ઘટનામાં કોઇ ઘાયલ નથી થયું.
આ આગ સાંજે માઇક્રોબાયોલોજી વિભાગથી શરૂ થઇ હતી. અને ઇમારતમાં ધૂમાડો નીકળતા જોઇ દર્દીઓ, તેમના સંબંધીઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઇ હતી. પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી પણ એમ્સના કાર્ડિયો ન્યૂરો કેન્દ્રના ICUમાં ભરતી છે જે પરિસરની અન્ય ઇમારતમાં સ્થિત છે.