AIIMSના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ Omicron ના વધતા જતા કેસ વચ્ચે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે દેશ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે.
કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર રહો
ભારતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાના વધતા કેસોએ ફરી એકવાર ખતરાની ઘંટડી વગાડી છે. નિષ્ણાતો પણ ચેતવણીઓ આપી રહ્યા છે પરંતુ લોકો હજુ પણ બેદરકાર જણાય છે. AIIMSના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ Omicron ના વધતા જતા કેસ વચ્ચે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે દેશ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે.
બ્રિટન જેવી સ્થિતિ ન થાય
રણદીપ ગુલેરિયાએ કહ્યું, 'આપણે તૈયારી કરવી પડશે અને આશા રાખવી પડશે કે અહીં પરિસ્થિતિ એટલી ખરાબ નહીં હોય જેટલી યુકેમાં હતી. અમને વધુ ડેટાની જરૂર છે. વિશ્વમાં જ્યારે પણ કેસ વધે છે ત્યા સતત ધ્યાન રાખી તમામ વસ્તુઓનો હિસાબ રાખવાની જરૂર છે.
આ ચેતવણીનો અર્થ
એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની આ ચેતવણીનો અર્થ તમે દિલ્હીના આંકડા પરથી સમજી શકશો. ગઈકાલે દિલ્હીમાં કોરોનાના 107 કેસ નોંધાયા હતા. ઇન્ફેકશન રેટ 0.17 પર પહોંચી ગયો છે. જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. 25 જૂને 115 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે 22 જૂને ઇન્ફેકશન રેટ 0.19 ટકા હતો.
દેશમાં ઓમિક્રોનના કેસ 150 કરતાં વધારે
દેશમાં ઓમિક્રોન કેસ વધીને 150 થી વધુ થઈ ગયા છે. આંકડામાં વધારા સાથે દિલ્હીમાં કોવિડ બેડ અને અલગ હોસ્પિટલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 6 કેસ નોંધાયા છે. નવા ઓમિક્રોન કેસ પછી, રવિવારે દેશમાં કુલ કેસ વધીને 157 થઈ ગયા.
મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે જેથી કોઈ ભીડ ન થાય અને લોકો ઓમિક્રોનથી સુરક્ષિત રહે. મુંબઈમાં 19 ડિસેમ્બર સુધી ઓમિક્રોનના 18 કેસ નોંધાયા છે.
માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ઓછું થવા લાગ્યા છે ત્યારે હવે આપણે ઘણી તકેદારી રાખવાની અને તે મુજબ તૈયારી કરવાની જરૂર છે.