ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 2 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે.
કોવેક્સિનના ડેટા સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થશે
સપ્ટેમ્બર મહિનામાં બાળકોની રસીને અપ્રુવલ મળી જશે
ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર નહીં થાય
સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે
ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી હોય પરંતુ વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે કોરોનાની ત્રીજી લહેર જલ્દી ભારતમાં એન્ટ્રી કરશે. જેમાં બાળકોને સંક્રમણનો ખતરો વધારે છે. તેવામાં તમામને બાળકોની રસીની રાહ છે. ત્યારે એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 2 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે.
તે જ મહિનામાં બાળકોની રસીને અપ્રુવલ મળી જશે
ડો. ગુલેરિયાએ એક મીડિયા ગ્રુપને જણાવ્યું છે કે ટ્રાયલનું બીજું અને ત્રીજું ચરણ પુરુ થયા બાદ બાળકોના રસીકરણ માટે કોવેક્સિનના ડેટા સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થશે અને તે જ મહિનામાં બાળકોની રસીને અપ્રુવલ મળી જશે. તેમણે કહ્યું કે જો ભારતમાં આ રસીને લીલી ઝંડી મળી જાય છે તો આ બાળકોના રસીકરણ માટેનો એક વિકલ્પ હોઈ શકે છે.
સ્કૂલો ખોલવા પર થાય વિચાર
ડો. ગુલેરિયાનું કહેવું છે કે પોલિસી બનાવનારા લોકોએ હવે સ્કૂલ ખોલવા પર વિચાર કરવો જોઈએ. સાથે એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે સંસ્થાન સુપર સ્પ્રેડર ન બને. સ્કૂલ ખોલવા પર પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે એક સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. તેમણે કહ્યું કે નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં બાળકોને એક દિવસ છોડીને બીજા દિવસ સ્કૂલ બોલાવવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં મદદ મળશે.
ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર નહીં થાય
એ વાત પર ભાર મુક્તા કે સીરો સર્વેક્ષણોએ બાળકોમાં એન્ટીબોડી ઉત્પન્ન થવા પર ઈશારો કર્યો છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે તેમની પાસે એ માનવાનું કોઈ કારણ નથી કે આવનારી લહેર બાળકોને વધારે અસર કરશે. ડો. ગુલેરિયાએ કહ્યું કે દેશમાં હવે બાળકો પણ કોરોનાની ઝપેટમાં છે અને રસીકરણ ન થવા છતાં પણ તેમને કેટલાક પ્રમાણમાં સુરક્ષા મળી છે. તેમણે કહ્યું કે જ્યારે બાળકો ટેસ્ટિંગ માટે આવે છે તો અમને તેમનામાં એન્ટીબોડી મળે છે.
એમ્સ અને ડબ્લ્યૂએચઓના એક અધ્યયનમાં બાળકોમાં હાઈ સીરો પોઝિટિવિટી જોવા મળી છે. આ અધ્યયનના શરુઆતના પરિણામો જણાવે છે કે કોવિડ સંક્રમણની ત્રીજી લહેર બીજી લહેરના સરખામણીએ વધારે અસર નહીં કરી શકે.