નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડિરેક્ટર ડો.રણનદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ચોમાસાની શરૂઆત સાથે જ દેશમાં કોરોના વાયરસના ચેપમાં કોઈ 'મોટો ફેરફાર' થતો નથી. પણ કોરોનાના લક્ષણ ધરાવાતા આ રોગો થઈ શકે છે.
ચોમાસામાં કોરોના ઇન્ફેક્શનમાં કોઈ ખાસ ફેરફાર નહીં'
કોરોના જેવા લક્ષણોવાળા ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ વધશે,
ફરી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું
ઘણા અવિશ્વસનીય અહેવાલોની વિરુદ્ધ જેમણે દાવો કર્યો હતો કે ભેજવાળા વાતાવરણને કારણે ચોમાસાની સિઝનમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થશે ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે ચોમાસાના ગાળામાં પણ કોરોના ચેપની ગતિમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.
અગાઉ, આઇઆઇટી બોમ્બેના બે પ્રાધ્યાપકોએ કરેલા અધ્યયનો દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના ઇન્ફેક્શનની ગતિ ગરમ અને શુષ્ક આબોહવામાં ધીમી પડે છે જ્યારે ભેજવાળા વાતાવરણમાં કોરોના ચેપની ગતિ વધે છે.
ડો.ગુલેરિયાએ એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે ચોમાસાની ઋતુ આવતાની સાથે કોઈ નાટકીય બદલાવ આવશે. જ્યારે ઉનાળાની સીઝન આવી ત્યારે લોકો કહેતા હતા કે ચેપ બંધ થઈ જશે. પરંતુ તે બન્યું નહીં."
ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે હવે ડોકટરોએ સારવાર પ્રક્રિયામાં ફેરફાર કરવો પડશે કારણ કે હવે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો થશે. જેના લક્ષણો કોરોના જેવા જ છે.
એઈમ્સના ડિરેક્ટરને પૂછવામાં આવ્યું કે જો કોઈ કોરોના ચેપ ધરાવતો હોય અને તે સાજા થયા પછી ફરી એકવાર કોરોનાગ્રસ્ત થઈ શકે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાથી પીડિત વ્યક્તિને ફરીથી આ રોગ થવાની સંભાવના બહુ ઓછી છે. કારણ કે કોરોના સારવાર દરમિયાન શરીરમાં કેટલાક એન્ટિબોડીઝ તૈયાર થઈ જાય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે એન્ટિબોડીઝ દ્વારા ઉત્પાદિત આ પ્રતિરક્ષા કેટલો સમય કામ કરે છે તે કહેવું મુશ્કેલ છે.