ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ વડાપ્રઘાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તો બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી તો સરકાર દ્વારા પાક નુકશાનીનું પેકેજ જાહેર કરાયું છે. મોચા વાવાઝોડાને લીધે બે રાજ્યો હાઈ અલર્ટ પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 મે નાં રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મનપા અને ઔડાના 1400 કરોડના વિકાસનાં કામોનું ઇ લોકાર્પણ કરશે. તેમજ સત્તાધાર, નરોડા અને વાડજ એમ ત્રણ બ્રિજનું ખાતમુર્હત કરશે. અને ઔડા દ્વારા બનાવેલ મુમતપુરા બ્રિજનું પણ લોકાર્પણ કરશે. તેમજ અન્ય વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ થશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યક્રમની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રાથમિક શિક્ષક સંઘનાં અધિવેશનની પણ શરૂઆત કરાવશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી 3 દિવસ હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 48 કલાક દરમ્યાન તાપમાન યથાવત રહેશે. જ્યારે 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે.
ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની શક્યતા છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે.
યાત્રાધામ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ છે. અહીં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહીલાનું મોત થયું છે. જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ બનાવની જાણ થતાં MLA જયદ્રથસિંહ પરમાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મહેસાણા જિલ્લા માં વિદેશ મોકલતા કબૂતરબાજ એજન્ટોના કારણે અનેક પરિવારો જીવ ના જોખમે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે. એવો જ કિસ્સો એક માસ અગાઉ મહેસાણા જિલ્લાના વિજાપુરના માણેકપુરા ગામના ચૌધરી પરીવાર સાથે બનવા પામ્યો હતો. માણેકપુરાના પ્રવીણ ચૌધરી રૂપિયા 60 લાખ આપી પોતાની પત્ની દક્ષાબેન અને બે બાળકો સાથે ગેરકાયદેસર કેનેડા થી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. જોકે હવે પ્રવીણભાઈના પરીવારે કબૂતર બાજ એજન્ટો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
મોરબી ઝુલતા પુલ મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 3 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે કોર્ટે દસમાંથી ત્રણ આરોપીઓ મહાદેવ લાખાભાઈ સોલંકી, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ તેમજ મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણનાં જામીન મંજૂર કર્યા હતા. જ્યારે આરોપી જયસુખ પટેલ સહિતનાં 7 આરોપીઓ હજુ જેલમાં જ રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં દિકરાની બ્રેઈન સ્ટ્રોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. જે બાદ હાલ તેઓની તબિયત સુધારા પર છે. ત્યારે બ્રેઈન સ્ટ્રોકનાં કારણે અનુજ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ અનુજ પટેલની સારવાર ચાલી રહી છે.
હાલ મારકણી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવી રહ્યા છે. ત્યારે દિલ્હી-NCRની મુખ્ય દૂધ સપ્લાયર મધર ડેરીએ મોંઘવારીમાંથી મહદઅંશે રાહત આપી છે અને મધર ડેરી દ્વારા તેના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. જે મામલે સત્તાવાર રીતે જાહેર કરેલ વિગત અનુસાર તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ ધારાના ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા લોકો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થશે.
કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીનાં ઘોષણાપત્રમાં બજરંગદળ પર બેન લગાવવાનો વાયદો કર્યો હતો જેના બાદ ભાજપ અને હિંદૂવાદી સંગઠનોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસની આ ઘોષણા પર નિશાન સાધ્યું હતું અને તેમના પર બજરંગવલીને કેદ કર્યાનો આરોપ પણ મુક્યો હતો.
દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મનીષ સીસોદીયા વિરુદ્ધ ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા પર આરોપ લાગ્યા છે. જેને આરોપી તરીકે દર્શાવી ઇડીએ અઢી હજાર પેજની ચાર્જશીટ દાખલ કરી છે. મહત્વનું છે કે એકસાઇઝ પોલિસી મામલે મનીષ સીસોદીયા 29માં આરોપી છે.
મણિપુરમાં હિંસક ઘટનાઓની વચ્ચે સરકારે દંગા કરનારાઓને જોવાની સાથે જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રશાસન વિષમ પરિસ્થિતિઓમાં જ આ પગલું ભરશે. મણિપુરનાં રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓને જોતાંની સાથે જ ગોળી મારી દેવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં હિંસાગ્રસ્ત ક્ષેત્રમાં કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. આવતાં 5 દિવસો માટે સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનનાં વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો શંઘાઈ સહયોગ સંઘઠનમાં શામેલ થવા માટે ગોવા પહોંચ્યાં છે. બિલાવલ ગોવામાં થનારી SCOની બેઠકમાં શામેલ થવા પહોંચ્યા છે. પૂંછમાં આતંકી હુમલો થયાનાં 14 દિવસ બાદ બિલાવલની ભારતયાત્રા રાજનૈતિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મામલામાં ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં ચીની વિદેશમંત્રી કિન ગૈંગ, રશિયાનાં સર્ગેઈ લાવરોવ સહિત પાકિસ્તાનનાં વિદેશમંત્રી ભુટ્ટો પણ જોડાયા છે.
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થવાનું છે. આ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણનો સુતક કાળ માન્ય રહેશે નહીં. વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિએ થનારા આ ચંદ્રગ્રહણ પર 130 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બનશે. હકીકતમાં 130 વર્ષ પછી બુદ્ધ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ બંનેનો સંયોગ બની રહ્યો છે.