અમદાવાદમાં વ્યાજખોરો જાણે લૂંટારુ બન્યા હોય તેમ અવારનવાર ફરિયાદ ઉઠી રહી છે. પોલીસનો જાણે ડર જ ન હોય તેમ આ શખ્સો મન ફાવે તેમ વ્યાજ વસુલી લેણદારોની હાલત ખરાબ કરી નાંખે છે. તેવામાં આજે અમદાવાદમાં વ્યંજકવાદીઓના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. વટવા GIDC વિસ્તારમાં રહેતી મહિલાની માતા બીમાર થતાં રૂપિયાની જરૂરીયાત ઊભી થઇ હતી જેને લઈને મહિલાએ પોતાના માતાની બિમારી સમયે 7 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 7 ટકા જેટલા ચામડાતોડ વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ મહીલાએ સમયાંતરે આ નાણા આરોપીઓને પરત ચૂકવી દીધા હતા.
મહિલાએ માતાની બિમારી સમયે 7 લાખ વ્યાજે લીધા હતા
મહિલાએ વ્યાજ સહિતની ઊછીની લીધેલી રકમ પરત આપી દીધી હોવા છતાં આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલુ જ નહી ધનલાલચુ વ્યાજખોરોએ 7 લાખની માગ કરીને મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું પોલીસ નિવેદનમાં જાહેર થવા પામ્યું હતું. અંતે વ્યાજખોરોના ત્રાસથી કાંટાળી જઈ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મહિલાએ મોત વ્હાલુ કરી લેવાનો પ્રયાસ કરી લેતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ બિછાને મહિલાએ 4 શખ્સો સામે ફરિયાદ કરતાં વટવા GIDC પોલીસે 4 શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભૂતકાળમાં વેપારીઓએ આપઘાત કર્યાના બનાવ
થોડા માસ અગાઉ અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી બે વેપારીએ સમયાંતરે આપઘાત કર્યા હતા. જેમાં ચાંદખેડાના ફર્નીચરના વેપારીએ કડી નર્મદા કેનાલમાં પડતુ મુકીને આપઘાાત કર્યો હતો. જ્યારે સોલામાં એક હોટેલ માલિકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આ ઉપરાંત બાપુનગરમાં એક ફ્રુટના વેપારીએ ઝેરી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગના કેસમાં વેપારી કે, જરૂરીયાતમાંદો ૧૦થી ૨૦ ટકા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. વધુમાં વ્યાજ ભરવા માટે મજબૂર લોકો અન્ય વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લે છે અને વ્યાજના વિષચક્રમાં સપડાયા બાદ અંતે લેણદારો પાસે કોઈ જ રસ્તો રહેતો ન હોવાથી આપઘાતનું પગલું ભરવા મજબૂર બનતા હોય છે.