અમદાવાદમાં એક કારમાં ચાર શકમંદો ભાગ્યા હોવાનો મેસેજ પોલીસને મળતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કારને પકડી પાડી હતી ત્યારબાદ મોકડ્રીલ જાહેર થઇ હતી.
પોલીસ કંટ્રોલરૂમમાંથી શકમંદ અંગેનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ
નાકાબંધી અને ચેકિંગ બાદ શંકાસ્પદ કાર ઝડપાઇ
શંકાસ્પદ કારમાંથી પોલીસ કર્મચારીઓ જ નીકળ્યા
દિવસ-રાત ધમધમતું અમદાવાદ ગત રાત્રે એકાએક ઠપ્પ થઇ ગયું હતું. અમદાવાદમાં રથયાત્રાના જાજરમાન આયોજન વચ્ચે પોલીસ સતર્ક હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ ખરેખર કેટલી જાગૃત છે તે જાણવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતુ. જેમાં એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા હોવાનો મેસેજ કંટ્રોલરૂમમાંથી વાયરલ કરાયો આવ્યો હતો. જેને લઈને પોલીસ દોડતી થઇ હતી.
શંકાસ્પદ કારમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા
અમદાવાદમાં રથયાત્રા પહેલા સિલ્વર કલરની શંકાસ્પદ કારના મેસેજને લઈને પોલીસ અલર્ટ બની હતી. 70 લાખથી વધુનું વસ્તી ધરાવતા આખા અમદાવાદમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી એક-એક ગાડીની સઘન તપાસ કરવામાં આવી હતી. એક બાજુ અમદાવાદમાં રથયાત્રાનું આયોજન અને બીજી તરફ અગાઉ અલકાયદા દ્વારા અપાયેલ હુમલાની ધમકીને લઇને આ દરમિયાન અજુગતિ ઘટનાના ડરને લીધે લોકોના પણ જીવ તાળવે ચોંટયા હતા. ત્યારબાદ પોલીસની મહેનત રંગ લાવી હતી અને અંતે પકવાન ચાર રસ્તા પાસે શકમંદ કારને પોલીસે ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા હતા. આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
19 જૂનના રોજ અમદાવાદ SOGએ 7 બાંગ્લાદેશી નાગરિકોની કરી હતી ધરપકડ
નોંધનીય છે કે આગામી 1 જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાનાર હોય જેને લઈને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. આ અગાઉ ગત તા. 19 જૂનના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અમદાવાદમાંથી 7 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી હતી. આ સાતેય શખ્સો ગેરકાયદે ભારતમાં ઘુસી અમદાવાદ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.