અમદાવાદના નિકોલમાં જમ્મૂ-કશ્મીર, ઉત્તરાખંડ જેવો થશે અનુભવ થશે, AMCના ખાલી પ્લોટનો સદઉપયોગ કરી ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી રહી છે.
અમદાવાદ મેગાસિટીમાં `સ્વર્ગ'નો અનુભવ
નિકોલમાં તૈયાર થઈ રહી છે ફ્લાવર વેલી
મેગાસિટીનું નવું નજરાણું ફ્લાવર વેલી
કોઈ એવુ કહે કે અમદાવાદમાં કશ્મીર અને ઉત્તરાખંડ જેવી મજા માણી શકાશે તો સાંભળીને નવાઈ લાગે. પણ આ વાત હવે હકીકત થશે કારણ કે જેવી ફ્લાવર વેલી ઉત્તરાખંડ અને કશ્મીરમાં છે તેવી જ ફલાવર વેલી અમદાવાદમાં પણ જોવા મળશે.
અમદાવાદના નિકોલમાં ફ્લાવર વેલી
જમ્મૂ-કશ્મીરના ગુલમર્ગના કોસમોસ ફૂલોની મહેક હવે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જોવા મળશે એવુ કોઈ માની શકે તેમ નથી પરંતુ સાચી વાત છે, તમે આ વીડિયોમાં દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદ મહાપાલિકાના સુચારુ આયોજનના વખાણ પણ કરવા પડે અને સુચારુ આયોજનમાનુ એક એટલે નિકોલમાં તૈયાર થઈ રહેલી ફ્લાવર વેલી. કોર્પોરેશન દ્વારા ખાલી પડેલા સરકારી પ્લોટનો ઉપયોગ ફ્લાવર વેલી બનાવવા માટે થઈ રહ્યો છે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં ખીલે એવા ફૂલ તૈયાર કરવામાં આવ્યા
આ વેલીમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં ખીલે એવા ફૂલ તૈયાર કરવામાં આવ્યા છે. જેવી કોસમોસ ફ્લાવર વેલી ઉત્તરાખંડ અને જમ્મૂ-કશ્મીરમાં છે તેવી જ ફ્લાવર વેલી અહીં તૈયાર થઈ રહી છે, જે અમદાવાદીઓ માટે ખુશીના વાત છે.
ફ્લાવર વેલીને તૈયાર કરવા દિવસ રાત કામ ચાલી રહ્યું છે.
આ ફલાવર વેલી માટે નવેમ્બર 2022થી કામગીરી શરૂ કરવામાં આવી છે જેના માટે 2 હજાર 146 ચોરસ મીટરના ખાલી પ્લોટમાં જગ્યા ફાળવી દેવાઈ છે. અહીં જી-20 અને U-20ની પ્રતિકૃતિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની, આ એ જ પ્રતિકૃતિ છે જે ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવાયા હતા. ફ્લાવર વેલીને તૈયાર કરવા દિવસ રાત કામ થઈ રહ્યું છે અને તેના જતનમાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી, ત્યારે આશા રાખીએ કે અમદાવાદી અને અન્ય મુલાકાતીઓ મેગાસિટીમાં પણ સ્વર્ગની અનુભૂતિ કરી શકશે.