અમદાવાદ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરા મામલે મોટી જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને રાહત આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજની રકમમાં 75% સુધીની માફીની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેનો લાભ વઇ વધુ વ્યાજનાં ભારણથી બચવા તથા શહેરનાં વિકાસકાર્યમાં સહભાગી થવા બાકીદરોને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગેરૂપે આ માફી આપવામાં આવી છે.
ચાલુ વર્ષના ટેકસ સિવાયનાં બાકી લેણાનાં વ્યાજ પર 75 ટકા માફી
અમદાવાદ કોર્પોરેશને મિલકત વેરા મામલે બાકીદારો માટે રાહતનો પટારો ખોલ્યો છે.જેમાં બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજમાં 75 ટકાની માફી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ લાભ ચાલુ વર્ષના ટેક્સ ઉપર મળશે નહીં. પરંતુ બાકીના ભૂતકાળના જે કોઈપણ મિલકત વેરા બાકી હોય તેના વ્યાજ ઉપર 75% રાહત જાહેર કરવામાં આવી છે. જોકે આ યોજનાનો અમલ 8 તારીખે મળનારી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરાયા બાદ અમલ કરવામાં આવશે. ત્યારબાદ આ યોજનાનો લાભ નાગરિકો ૭૫ દિવસ સુધી લઈ શકશે.
કોમર્શિયલ અને રહેણાક એકમોને 8 ઓગસ્ટથી મળશે લાભ
એટલે કે 8 ઓગસ્ટ થી 75 દિવસમાં ટેક્સ ભરનાર વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળશે સરકારી રહેણાંક તેમજ કોમર્શિયલ પ્રકારની કોઈપણ મિલકત હોય તે તમામ મિલકતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે અંગેની ખૂબ મોટી યોજના રેવન્યુ કમિટીમાંથી પાસ કરવામાં આવી છે.મહત્વનું છે કે કોરોના મહામારીને લઈને વેપારીઑને મોટો ફટકો પડ્યો છે ત્યારે આ યોજના ખૂબ રાહતરૂપ નીવડશે અને અમદાવાદ કોર્પોરેશનને તેનાથી ૨૦૦ થી ૨૫૦ કરોડની આવક થાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.