મ્યુનિ. તંત્ર દ્વારા ડેબ્રિજના નિકાલ માટેના ૧પ પ્લોટ જાહેર કરાયા
તેમની પાસેથી આકરો વહીવટીચાર્જ વસૂલવામાં આવશે
શહેરીજનો દ્વારા પોતાના મકાનના રિપેરિંગ, રિનોવેશન કે નવા બાંધકામ માટેનાં કામ હાથ ધરાતાં રહ્યાં છે, જોકે આ કામ દરમિયાન નીકળતી માટી, પૂરણી, ઈંટ, ટાઈલ્સ જેવી ડેબ્રિજને ગમે ત્યાં ઢગલો કરી દેતાં પણ અનેક લોકો અચકાતા નથી. મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા જાહેર નોટિસ ફટકારીને લોકોને તાકીદ કરાઈ છે કે તેઓએ તેમની ડેબ્રિજને નિયત જગ્યાએ જ અંગત ખર્ચે નાખવાની રહેશે, નહીંતર તેમની પાસેથી આકરો વહીવટીચાર્જ વસૂલવામાં આવશે. પૂર્વ ઝોન માટે ક્યા ક્યાં પ્લોટ નક્કી કરાયા
પૂર્વ ઝોનમાં એસપી રિંગરોડની સુપેરિયા-ર હોટલ સામે ક્રિસ્ટલ પેલેસ એરિયા અને વસ્રાલના રિંગરોડ પાસેના પુષ્પ રેસિડન્સીની બાજુમાં લોકોએ પોતાની ડેબ્રિજ નાખવાની રહેશે. પશ્ચિમ ઝોનના રાણીપના કીર્તન એપાર્ટમેન્ટ પાછળના ભાગમાં આવેલી ખાડાવાળી ખુલ્લી જમીન અને વાસણામાં ટીવીએસ શો-રૂમ પાછળ આવેલું સોરાઈનગર મેદાન તંત્ર દ્વારા ડેબ્રિજ નાખવા માટેના પ્લોટ નક્કી કરાયા છે.
ઉત્તર ઝોન માટે ક્યા ક્યાં પ્લોટ નક્કી કરાયા
ઉત્તર ઝોનમાં નરોડાના નરોડા-દહેગામ રોડ પરના જીઈબી સામેના પ્લોટમાં અને સરદારનગરના આઈટીઆઈ રોડ પરની કુબેરનગર આઈટીઆઈ પાસે તેમજ દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુરીના રામોલ રોડ પરની પ્રદ્યુમ્ન સોસાયટી પાસેનો ખુલ્લો પ્લોટ, નારોલના નારોલ રોડ પરના સમૃદ્ધ રેસિડન્સી પાછળ આવેલા પ્લોટમાં લોકોએ તેમની ડેબ્રિજ નાખવાની રહેશે. મધ્ય ઝોન માટે ક્યાં ક્યાં પ્લોટ નક્કી કરાયા
મધ્ય ઝોનના અસારવા ગામની રેલવે પોલીસ લાઈન પાસે, દરિયાપુરમાં પ્રેમ દરવાજા પાસે, સારંગપુરમાં માધવબાગ પાણીની ટાંકી પાસે અને એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેની ભૂતની આમલી નજીક લોકો ડેબ્રિજ નાખી શકશે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતાના ઓગણજ રોડ પરની સેન્ટ મેરી સ્કૂલ પાસે અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મકરબાના પેલેડિયમ સર્કલ પાસેની મકરબા સરકારી ચાવડી પાસે ડેબ્રિજ નાખવાના પ્લોટ તંત્ર દ્વારા નક્કી કરાયા છે. આ જગ્યાઓ સિવાયનાં અન્ય સ્થળો કે જાહેર રોડ પર ડેબ્રિજ ફેંકનાર લોકો પાસેથી તંત્રના હેલ્થ બાયલોઝ સહિતના નિયમોના આધારે ભારે વહીવટીચાર્જ વસૂલ કરાશે તેવી ચેતવણી મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા જાહેર નોટિસ મારફતે લોકોને અપાઈ છે.