વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો રેલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30મી સપ્ટેમ્બરના રોજ પ્રારંભ કરવામાં આવશે.
મેટ્રો રેલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાશે પ્રારંભ
અમદાવાદીઓ થઈ જાઓ તૈયાર
સુરક્ષા સાથે સ્પીડનો મળશે રોમાંચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30મી સપ્ટેમ્બરના રોજ લીલીઝંડી આપવામાં આવશે. તે સાથે જ વસ્ત્રાલથી થલતેજગામના રૂટને શરૂ કરવામાં આવશે.
નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. શરૂઆતમાં પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદમાં સતત દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેના કારણે એક જગ્યા પરથી બીજી સ્થળે જવા માટે ખાસો સમય ટ્રાવેલિંગ માં વેડફાઈ જતો હતો. પરંતુ હવે આ ટ્રેન શરૂ થઈ ગયા બાદ સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગને પણ સમયસર પહોંચવામાં તકલીફ નહિ પડે. વસ્ત્રાલથી થલતેજના આ રૂટમાંઆખું અમદાવાદ આવી જશે.
વસ્ત્રાલથી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. આ પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. વસ્ત્રાલથી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન આવેલા છે. આ ટ્રેન મુસાફરીમાં કરતા લોકોને અંડર ગ્રાઉન્ડ મુસાફરીનો રોમાંચ માણવા મળશે.
મેટ્રો રેલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ
આમ, હવે મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને શહેરીજનો પોતાની સપનાની ટ્રેનમાં સવાર થવા થનગની રહ્યા છે.