કોરોનાના કેસ સતત વધતા હોઈ રાજ્યમાં એક્ટિવ કેસ પણ વધીને ર૩૩એ પહોંચી ગયા છે. આમાં ગંભીર બાબત એ છે કે અમદાવાદ ફરી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.
શહેર સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો
બહેરામપુરા, દાણીલીમડા, વટવા, લાંભાના લોકો કોરોના વેક્સિન લેવામાં સૌથી પાછળ
રાજ્યમાં એક્ટિવ કેસ પણ વધીને ર૩૩એ પહોંચી ગયા
શહેર સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ સતત વધતા હોઈ રાજ્યમાં એક્ટિવ કેસ પણ વધીને ર૩૩એ પહોંચી ગયા છે. આમાં ગંભીર બાબત એ છે કે અમદાવાદ ફરી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે એટલે કોરોના સામે લડત આપવા અમદાવાદીઓએ વિશેષ ગંભીર બનવાની જરૂર છે. તેમ છતાં ચોંકાવનારી બાબત એ છે કે કોરોના વેક્સિનેશનના મામલે આજે પણ દક્ષિણ ઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા, લાંભા, મણિનગર, ઈસનપુર અને ખોખરા વોર્ડના લોકો ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. દક્ષિણ ઝોનમાં વેક્સિનેશનનું પ્રમાણ નહીંવત્ હોઈ મ્યુનિ. હેલ્થ વિભાગ પણ ચિંતામાં ગરકાવ થયો છે.
કોરોનાથી કોઈ દર્દીએ જીવ ગુમાવ્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી
માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદમાં કોરોનાએ ઉપાડો લીધો છે. કોરોના હળવાં લક્ષણો ધરાવતો હોઈ મોટા ભાગના દર્દીઓ તેમના ફેમિલી ડોક્ટર પાસેથી દવા લઈને સારવાર મેળવી રહ્યા છે. હાલમાં કોરોનાની વેવ ઘાતક નથી બની.ગુજરાતમાં પણ કોરોનાથી કોઈ દર્દીએ જીવ ગુમાવ્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી.
ગુજરાતમાં કુલ ર૩૩ એક્ટિવ કેસ હોઈ તે પૈકી ફક્ત એકની હાલત ગંભીર હોઈ તે વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાના કુલ ૪પ કેસ ગઈ કાલે નોંધાયા હતા, જેમાં સૌથી વધુ ૧૮ કેસ અમદાવાદના હતા. અમદાવાદમાં કેસની સંખ્યા રોજેરોજ બે આંકડામાં નોંધાઈ રહી છે તેમ છતાં શહેરીજનોમાં વેક્સિનેશનના મામલે ખાસ જાગૃતિ આવી નથી.
મ્યુનિસિપલ તંત્ર પાસેથી મળેલા કોરોના વેક્સિનના સેકન્ડ ડોઝને લગતા સત્તાવાર અહેવાલને તપાસતાં આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરના તમામ સાત ઝોન પૈકી દક્ષિણ ઝોનના લોકો અગમ્ય કારણસર વેક્સિન લેવા માટે આગળ આવતા નથી. ગત તા. ૧૧ માર્ચ, ર૦ર૩ સુધીના વેક્સિનેશનના સેકન્ડ ડોઝના આંકડામાં દર્શાવ્યા મુજબ દક્ષિણ ઝોનમાં હજુ ૧,૬૬,૯૩૯ લોકોએ તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી.
દક્ષિણ ઝોન બાદ પૂર્વ ઝોનના લોકોએ વેક્સિનેશનના મામલે ગંભીરતા દાખવી નથી
આ ઝોનના અમરાઇવાડી, ભાઈપુરા, નિકોલ, ઓઢવ, વિરાટનગર, વસ્ત્રાલ, રામોલ-હાથીજણ વોર્ડના નાગરિકોની ઉદાસીનતાથી હજુ ૧,પપ,૪૧૯ લોકો તેમના સેકન્ડ ડોઝથી વંચિત છે. દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન બાદ ઉત્તર ઝોનમાં પણ વેક્સિનેશનના મામલે લોકોની લાપરવાહી આંખે ઊડીને વળગે તેવી છે. આ ઝોનના સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર, ઈન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને સરસપુર વોર્ડમાં રહેતા લોકોએ પણ વેક્સિનેશનથી તેમનું મોઢું ફેરવી લીધું હોય તેમ લાગે છે, કેમ કે ઉત્તર ઝોનમાં હજુ પણ ૧,પ૧,૦૮૩ લોકોએ તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી, જ્યારે કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતા મધ્ય ઝોનમાં પણ ૬ર,પ૩૭ લોકોએ સેકન્ડ ડોઝ મેળવ્યો નથી.
આમ, વેક્સિનેશનના મામલે શહેરના સાત ઝોન પૈકી પૂર્વ અમદાવાદમાં આવતા ઝોનના લોકોએ વેક્સિનેશનને હજુ સુધી ઉમળકાભેર વધાવ્યું નથી તે બાબત તંત્રના સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા હોઈ મ્યુનિ. હેલ્થ વિભાગમાં પણ તે બાબતે ચિંતા જોવા મળી છે
પશ્ચિમ ઝોનમાં માત્ર પ,પ૦૮ લોકો સેકન્ડ ડોઝથી વંચિત: શહેરના સુખી અને સંપન્ન ગણાતા પશ્ચિમ ઝોનના લોકોએ વેક્સિનેશનના મામલે ખાસ્સી એવી જાગૃતિ દાખવી છે, કેમ કે આ ઝોનમાં માત્ર ને માત્ર પ,પ૦૮ લોકો જ તેમની વેક્સિનના સેકન્ડ ડોઝથી વંચિત છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧ર,૪૦૪ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧પ,૪પ૧ લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી. આમ, સમગ્ર પશ્ચિમ અમદાવાદમાંથી કુલ ૩૩,૩૬૩ લોકોને જ સેકન્ડ ડોઝ આપવાનો બાકી છે.
બૂસ્ટર ડોઝ મામલે પણ લોકો શિથિલ: વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લેવામાં પણ લોકો શિથિલ પુરવાર થયા છે. શહેરના કુલ પપ લાખથી વધુ લોકો બૂસ્ટર ડોઝ મેળવવાને પાત્ર છે, આની સામે હજુ સુધી દશ લાખથી વધુ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં ૧ર.૮૦ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા
ગુજરાતમાં થયેલી વેક્સિનેશનની કામગીરીને લગતા ગઈ કાલ સુધીના અહેવાલને તપાસતાં પ૯.૭૦ લાખથી વધુ લોકોએ પ્રીકોશન ડોઝ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૪.૯૩ કરોડથી વધુ લોકોએ ફર્સ્ટ ડોઝ, આ જ વયજૂથના ૪.૯૪ કરોડથી વધુ લોકોએ સેકન્ડ ડોઝ, ૧પથી ૧૭ વર્ષ સુધીના ૩૧.૩૧ લાખ લોકોએ ફર્સ્ટ ડોઝ અને ર૯.૦૬ લાખ લોકોએ સેકન્ડ ડોઝ, ૧રથી ૧૪ વર્ષ સુધીના ૧૯.૪૧ લાખ લોકોએ ફર્સ્ટ ડોઝ અને ૧૬.૭૭ લાખ લોકોએ સેકન્ડ ડોઝ તેમજ ૧૮થી પ૯ વયજૂથના ૧.૩૭ કરોડ લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે, જોકે વેક્સિનેશનના મામલે હજુ પણ ગુજરાત દેશનાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોથી પાછળ છે.