ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે.
સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે 4 ફૂટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે.પરંતુ કોઇ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મંજુરી આપી નથી.
ગણેશોત્સવમાં 4 ફૂટની મૂર્તિને જ મંજૂરી
CM રૂપાણીએ ગણેશોત્સવનું પર્વ આગામી તા. 9 સપ્ટેમ્બરથી તા.19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે.
કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન
સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સ S.O.P પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે..
મૂર્તિનું કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે
સરઘસમાં વધુમાં વધુ 15 લોકો જ જોડાઈ શકશે. સરઘસમાં પરમિશનમાં આયોજક અને તેમાં જોડાનાર લોકોના નામ સરનામાં આપવાના રહેશે. રૂટ અને મૂર્તિ વિસર્જન સ્થળની પણ વિગત આપવાની રહેશે. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે. ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિઓનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે
રાત્રી કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમ્યાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તા.9 મી સપ્ટેમ્બરથી તા.19 મી સપ્ટેમ્બર દરમ્યાન આ મહાનગરોમાં રાત્રિ કરફયુનો અમલ આ મહાનગરોમાં રાત્રે 12 વાગ્યાથી કરાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે